…છોડો મમત – જિતેન્દ્ર પ્રજાપતિ

.

ઝાડ પરથી પાનનું ખરવાપણું કહેતું હતું કે ક્ષણ ગઈ છે આથમી છોડો મમત;

હું પણાનું આખરે ઠરવાપણું કહેતું હતું કે ક્ષણ ગઈ છે આથમી છોડો મમત.

 .

શું મળ્યું છે ખાલી ઘર ફંફોસતા ? ભીંતે મઢેલો ખાલીપો કે એ જ પાછી શૂન્યતા ?

 સાંપડેલું એક બસ ડરવાપણું કહેતું હતું કે ક્ષણ ગઈ છે આથમી છોડો મમત.

.

આમ જુઓ તો હયાતી આખરે એક શ્વાસનો ફુગ્ગો જ છે, એથી વધારે કૈં નથી;

જ્યાં જુઓ ત્યાં શ્વાસનું ભરવાપણું કહેતું હતું કે ક્ષણ ગઈ છે આથમી છોડો મમત.

 .

છો રહી કૈં આજ તારી બોલબાલા ચોતરફ, એ આજ નહિ તો કાલ ઓછી થૈ જશે;

કાળના કો’ ચક્રનું ફરવાપણું કહેતું હતું કે ક્ષણ ગઈ છે આથમી છોડો મમત.

 .

ઝાંઝવાનું જળ થયે વર્ષો થયા, બદલો અમારી હસ્તરેખાના વળાંકો આજ કૈં;

ક્યારનું એ જળતણું તરવાપણું કહેતું હતું કે ક્ષણ ગઈ છે આથમી છોડો મમત.

 .

( જિતેન્દ્ર પ્રજાપતિ )

Share

પ્રેમની બાબતમાં – સુરેશ દલાલ

.

પ્રેમની બાબતમાં કોઈને સલાહ આપશો નહીં

લોહી જ્યારે લયબદ્ધ નર્તન કરતું હોય અને

ક્યારેક પ્રલયની જેમ ધસમસતું હોય ત્યારે

તમારી વાણી સાંભળવા કોઈ તૈયાર નહીં થાય.

 .

પ્રત્યેક ઝંખે છે પ્રેમનો અનુભવ. ભલે પછી એમાં

વફાઈ—બેવફાઈ, વહેમ, શંકા, શ્રદ્ધા, અંધશ્રદ્ધા

હોય કે ન હોય; પણ દરેકને પોતાના હાથમાં

ધખધખતો, સળગતો અંગારો મૂકવાની હોંશ હોય છે.

 .

વિધાતાએ બધી યોજના ઘડી કાઢી છે.

રડવા માટે આંખ અને ખૂબ લાંબી રાત આપી છે.

મળવા માટેના બગીચાઓ કઈ ઘડીએ રણ થઈ જશે

એની કોઈ કરતાં કોઈને ક્યારેય ખબર પડી નથી.

 .

અને આ બધું છતાં માણસે પ્રેમ ન કરવો

એવું તો વિચારાય જ નહીં. ઝંખના અને ઝુરાપો

મરણ લગી જીવવા માટે પૂરતાં છે.

 .

( સુરેશ દલાલ )

Share

રંગ રાખ્યો છે – ‘રાજ’ લખતરવી

.

ઉમેરી રક્ત મહેંદીમાં વધારે રંગ રાખ્યો છે,

અનોખા પ્રેમીએ નોખા પ્રકારે રંગ રાખ્યો છે.

 .

જગતભરના બધા રસ્તા ઉતારા, મંઝિલો છોડી,

ગલીમાં આપની આવી જનારે રંગ રાખ્યો છે.

 .

થવા દીધો ન અળગો રંગથી, બેરંગ મોસમમાં,

 સતત આવીને ફૂલોના વિચારે રંગ રાખ્યો છે.

 .

નથી રાખ્યો દવાએ, ના દુઆ રાખી શકી એવો,

મુલાયમ સ્પર્શની આ સારવારે રંગ રાખ્યો છે.

 .

નહીંતર ‘રાજ’ મારું થાત શું ? મારો ખુદા જાણે,

અણીના તાકડે એના સહારે રંગ રાખ્યો છે.

 .

( ‘રાજ’ લખતરવી )

Share

રમકડું બની ગયેલા – સ્નેહી પરમાર

.

મારે,

રમકડું બની ગયેલા સમંદરમાં,

ફરી ઘૂઘવાટની ચાવી ભરવી છે

અને

કાંઠે પડેલી જાળને,

માછલી સાથે પ્રેમ થઈ જાય ત્યાં સુધી

એક પગે ઊભા રહેવું છે

મારે,

ધમણમાં ટીપાતાં કુહાડના શિશુ સાથે

દાણાના ગર્ભમાં ઊછરતા છોડનું સગપણ કરાવવું છે.

મારે,

તલવારો મ્યાન નથી કરવી,

પરંતુ

એ ખુલ્લી તલવાર પર,

બાળક એકડો ઘૂંટે, તે જોવું છે,

અને

સામેની ઝૂંપડીમાં પાથર્યા વિના સૂતેલા સમયની

પીઠ પર

છપાઈ ગયેલી કાંકરાની લિપિ ઉકેલીને

એક

કાવ્ય લખી કાઢવું છે.

 .

( સ્નેહી પરમાર )

Share
Powered By Indic IME