અર્થશાસ્ત્ર-વિપિન પરીખ

કોઈએ મને પૂછ્યું: આ જીવનનો અર્થ શો છે

મેં કહ્યું: મને ખબર નથી

 

મને ખબર નથી આ સૂરજમુખીનું ફૂલ

રોજ સવારે શી રીતે હસી શકતું હશે

અને કોયલ શી રીતે લાલ કરી મૂકતી હશે વસંતને

પોતાના ટહુકાથી વરસે વરસે?

 

મને ખબર નથી વારે વારે પડી જવા છતાં

શિશુ શા માટે આટલો બધો આગ્રહ રાખે છે

પોતાનાં પગલાં પાડવાનો?

 

ને કદમ્બના વ્રુક્ષ નીચે બેઠેલા પ્રેમીઓની હથેળીને

મધુર વાચા શી રીતે ફુટતી હશે? 

-મને ખબર નથી.

 

પણ

જ્યારે

ફૂલો શહેરમાં વસવા આવશે કાયમ માટે

ને કોકિલા જ્યારે બેન્કમાં દસથી છ

સર્વિસ કરશે અને

આકાશ જ્યારે નીચે નમી નમીને

૨૬મા માળની અગાશીને પ્રેમ કરશે

ત્યારે હું પણ પૂછીશ: 

આ બધાંનો અર્થ શો છે?”

 

( વિપિન પરીખ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.