જન્મોની તરસ
છિપાવવાની હોય એ રીતે,
પાણી પીધા પછી
ખાલી થયેલા ગ્લાસ તરફ
જોયા કરવાનો અર્થ શો?
ગ્લાસના તળિયે વધેલાં
પાણીનાં થોડાંક ટીપાં
આપણી ઉતાવળનું પરિણામ
છે કે
ઓછી થયેલી તરસનું?
હવે ઢોળી નાખીએ
તો લાગે
તરસની કિંમત નથી,
પી જઈએ તેમ છતાં
તરસ છીપવાની નથી.
એવામાં આપણે શું કરીએ?
શેષ રહેલા ટીપાંમાં
આપણા થીજેલાં અસ્તિત્વ
ધીમે ધીમે પિગાળીએ
અને પી જઈએ બધા કાલખંડને
કારણ કે
જેની શરૂઆત નથી હોતી
એનો અંત ક્યાંથી હોય?
( અવિનાશ પારેખ )



One Comment
there is true Vedant/phyloshphy of life in this poem
Good message..very thoughtful poem..Enjoyed..keep it up…