http://heenaparekh.com/2010/09/06/vanthambhi-vansali/
વણથંભી વાંસળી વગાડ ના
અંતરના ઓરતાને અધરાતે છેડીને
ગોકુળિયું ગામ તું જગાડ ના.
.
અષાઢી વાદળીની જેમ દન આખાનો
થાક લઈ ઘેરાતી આંખો,
વરસાદી કીડીની જેમ અહીં નીંદરને
ઓચિંતી ફૂટે છે પાંખો;
સમણાંના ખેતરમાં લીલા વાવેતરને
ફાલ્યા વિના તું બગાડ ના.
.
ટેરવેથી ફૂટેલી વેદનાની મીઠપ લઈ
ડાળે ઝૂલે છે રાતરાણી,
શીતલ સમીર છતાં માદક એ ફોરમ
તો રોમ રોમ એવી દઝાણી;
ફૂંક જરા હળવી તું મૂક અલ્યા, ગોકુળના
ઘર ઘરમાં હોળી લગાડ ના.
.
( મહેશ સોલંકી ‘બેનામ’ )



2 Comments
ઘણીવાર કવિની જાણ બહાર પરમાત્મા તેને માધ્યમ બનાવીને કાંઈક બહુમૂલ્ય વાત કહી જાય છે. તેવું મેં કેટલાંક કવિઓના કેસમા જોયું છે.અહિં મહેશભાઈએ પણ આવી વાત કરી છે જે ધ્યાનના, જ્ઞાનના ઊંડાણમાથી કે પછી પ્રેમપૂર્ણ હૃદયમાંથી જ ઊઠી શકે છે.
આપણે બધા ભરનીંદરમા, મીઠા સ્વપનોમા જીવી રહ્યા છીએ અને કૃષ્ણ (સત્ગુરુઓ) આપણને જગાડવા વાંસળી વગાડી બેહોશી તોડવા મથે છે અને આપણે કહીએ છીએ.
વણથંભી વાંસળી વગાડ ના
અંતરના ઓરતાને અધરાતે છેડીને
ગોકુળિયું ગામ તું જગાડ ના.
.
અષાઢી વાદળીની જેમ દન આખાનો
થાક લઈ ઘેરાતી આંખો,
વરસાદી કીડીની જેમ અહીં નીંદરને
ઓચિંતી ફૂટે છે પાંખો;
સમણાંના ખેતરમાં લીલા વાવેતરને
ફાલ્યા વિના તું બગાડ ના.
.
ટેરવેથી ફૂટેલી વેદનાની મીઠપ લઈ
ડાળે ઝૂલે છે રાતરાણી,
શીતલ સમીર છતાં માદક એ ફોરમ
તો રોમ રોમ એવી દઝાણી;
ફૂંક જરા હળવી તું મૂક અલ્યા, ગોકુળના
ઘર ઘરમાં હોળી લગાડ ના.
સુંદર ગીત .