http://heenaparekh.com/2010/09/18/kon-aapshe/
લયબદ્ધ વિસર્જનની વ્યથા કોણ આપશે ?
સર્જનના નામે એવી દશા કોણ આપશે ?
.
ચિક્કાર બસમાં પહેલાં ચડી જા તું અબઘડી,
વિચારજે પછી કે જગા કોણ આપશે.
.
મેં શું ગુનો કર્યો છે મને ખબર નથી,
છે એટલી ખબર કે સજા કોણ આપશે.
.
કળથી તેં બારણાં તો ઉઘાડી લીધાં છે પણ,
અંદર તને જવાની રજા કોણ આપશે ?
.
આ બોગદું કથનનું પૂરું થાય તે પછી,
મનમાં પ્રકાશવાની મજા કોણ આપશે ?
.
( અશરફ ડબાવાલા )



One Comment
શ્રી અશરફભાઈની સરસ ગઝલ લાવ્યા હીનાબેન…
બહુજ માર્મિક અને ચિક્કાર બસમાં પહેલા ચડી જવાના શેરમાં નવિન કલ્પન પણ ગમ્યું.
અભિનંદન.