વ્હાલું તુજને કોણ

By heenaparekh  

હું અળખી, પણ વ્હાલું તુજને

કોણ – કહે તો જાણું !

કદંબ વ્હાલું ? યમુના વ્હાલી –

કે વ્હાલું ગોકુળનું વ્હાણું ?

મથુરાની મ્હોલાતો વ્હાલી ?

કે વ્હાલું વંશીનું ગાણું ?

વ્હાલી વનરા, ધેનુ વ્હાલી;

વ્હાલું કાં તો રણનું ટાણું !

પટરાણીનાં ઓઝલ-ભોજન,

વળી સુદામાનું તરભાણું !

સુવર્ણનગરી અતિશે વ્હાલી:

રાજ-રખાપત હું શું જાણું ?

જાણું મેઘલ રાત્રે મીઠું

દરદ દીધું જે છાનું !

કાચી કુમળી છાતી ભીતર

રે કોનું આ નામ લખાણું !

હુંય ભૂલી હઈ હોત તને,

(પણ) હાય ! દૂઝે આ હૈયું કાણું !

સૂધબૂધ વીસરી ભટકું વગડે

હર કંકરમાં કરસન માણું.

હું અળખી છો, પડખે તારી

કોણ – કહે તો જાણું !

હું અળખી તો વ્હાલું તુજને

કોણ – કહે તો જાણું…

.

( કેશુભાઈ દેસાઈ )

Share

3 Comments

  1. Posted September 19, 2010 at 9:10 pm | Permalink | Reply

    સરસ ગીત લઇ આવ્યાં હીનાબેન…

  2. Posted September 20, 2010 at 10:47 am | Permalink | Reply

    શ્રી હિનાબહેન,

    કેશુભાઈ દેસાઈની સુંદર રચના છે. મને લાગે છે કે શ્રી કૃષ્ણને કોઈ અળખામણું કે વહાલું નહીં હોય પણ તેને જ્યાં ક્યાંય પણ પોતાનું અવતાર કાર્ય કરવાનું હશે તે પ્રમાણે કર્યું હશે.

    જો કે જેણે જેણે પણ કૃષ્ણના ચરિત્ર્યનો થોડોક પણ અભ્યાસ કર્યો છે તે ભાન ભૂલ્યા વગર રહ્યાં નથી અને છેવટે કૃષ્ણએ તેને સાચું ભાન કરાવ્યું છે.

    જે કોઈ કૃષ્ણની મોહિનીમાં ફસાશે તે દુન્યવી દૃષ્ટિએ દીન અને આધ્યાત્મિક દૃષ્ટિએ મિરાત વાળા ગણાશે.

    આપની રચનાઓ અવકાશે વાંચતો હોઉ છું.

  3. Posted September 25, 2010 at 7:32 pm | Permalink | Reply

    સરસ ગીત..વ્હાલુ કોણ્નો સવાલ વ્હાલો લાગ્યો!!
    સપના

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME