નમસ્તસ્યૈ નમો નમ: (૧)

આજથી શરુ થતી નવરાત્રિ “મા”ની આરાધના, ભક્તિ અને અનુષ્ઠાન કરવાના દિવસો છે. તંત્રોક્ત દેવીસુક્તના ઘણાં શ્લોકો પર “મન્નીમા”એ પોતાના સહજ ભાવોદ્દગારને વાણીના પુષ્પોમાં ગૂંથીને એક એક શ્લોકસુમનને જગતજનની મા અંબાના ચરણોમાં અર્પણ કર્યા છે. જે “નમસ્તસ્યૈ નમો નમ:” નામના પુસ્તક રૂપે પ્રકાશિત થયા હતા. આ પુસ્તકના પ્રથમ નવ લેખો નવરાત્રિના નવ દિવસ દરમ્યાન માણીશું. આ લેખોને મારી સાઈટ પર મૂકવાની સંમતિ આપવા બદલ હું “મન્નીમા”નો આભાર માનું છું.

(૧)

.

હે, મા ! જાણવાના ભ્રમમાં જીવતાં અમે કંઈ જ જાણતાં નથી. સ્વાર્થ અને મોહમાં સપડાયેલાં અમે અનેકવાર ન કરવાનું કરી બેસીએ છીએ. અનેકવાર તારો અપરાધ થઈ જાય છે. છતાં પણ જ્યારે મુશ્કેલી પડે છે ત્યારે તારા સિવાય અન્ય કોઈનું શરણ સાંભરતું નથી.

.

સંસારી સંબંધીઓના સહયોગના મૂળમાં રહેલા સ્વાર્થે અમે ખૂબ નિરાશ થયાં છીએ. એમના પ્રેમને પીછાણી લીધો છે. એમના હેતને ઓળખી લીધું છે. કોઈનામાં વિશ્વાસ બેસતો નથી. સંસારના સંબંધો તરફની અમારી દોટ આંધળી છે તેથી સમગ્ર વિશ્વમાં ભટકીને આખરે તારી પાસે જ ક્ષમાની ઝોળી ફેલાવતાં ઊભા છીએ.

.

તું અમારી ભૂલોને ક્ષમા કર. અમને સદ્દબુદ્ધિ આપ અને સન્માર્ગે ચાલવાની શક્તિ આપ. તારી ભક્તિના રંગમાં રંગાવાની અમારી તીવ્ર ઈચ્છા છે. જીવનની ક્ષણેક્ષણ તારા નામ અને કામમાં વ્યતિત થાય એવી અમને તારા તરફથી પ્રેરણા મળી રહે તો જ અમારું જીવવું સાર્થક બને અન્યથા કૂવામાંના દેડકાંની જેમ ફૂલાઈને ફરનાર અમે માત્ર ભ્રમમાં જ જીવ્યા કરીશું.

.

અમે બોલીને તને શું કહીએ ? છતાં લાગણીવશ કેટલુંક બોલવા જેવું અને ન બોલવા જેવું પણ બોલાઈ જાય છે. એને તારી સ્તુતિ સમજીને સ્વીકારજે. ક્ષણેક્ષણ તું રક્ષા કરજે. દુ:ખ અને સુખની વ્યાખ્યા તું મને સમજાવજે.

.

કદાચ અમારા વર્તનથી કોઈને દુ:ખ થતું હોય તો અમને એટલી શક્તિ આપ કે ક્યારેય અમે કોઈનું દિલ ન દુભાવીએ. અમારા હ્રદયનું એવું પરિવર્તન કર કે જેમાં તારો નિવાસ થાય અને અમને ક્ષણેક્ષણના વર્તનમાં સતત જાગૃતિ રહ્યા કરે. તું જ અમને આ બધું શીખવ અને સમજ તેમજ શક્તિ પૂરાં પાડ.

.

કોઈ વાતની તું કસોટી કરે તો એમાંથી પાર ઊતરવાની પણ શક્તિ આપજે.

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે:

.

नमो देव्यै महादेव्यै शिवायै सततं नम:

नम: प्रकृत्यै भद्रायै नियता: प्रणता: स्म ताम

.

દેવીને નમસ્કાર છે. મહાદેવી શિવાને સર્વદા નમસ્કાર છે. જગત જનની જગતકારણ એટલે કે પ્રકૃતિ અને મંગળ સ્વરૂપ ભદ્રાને નમસ્કાર છે. અમે તે જગદંબાને નિયમપૂર્વક નમસ્કાર કરીએ છીએ.

.

મા ! અમારા હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી તારા ચરણોમાં સ્થાન આપજે કે જેથી અહંકારથી અમે ફૂલાઈ ન જઈએ અને અજ્ઞાનથી, ભૂલથી અને બુદ્ધિ ભ્રાન્ત થવાના લીધે તારી ભક્તિમાં ઓટ ન આવે.

.

મા ! જગતના જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાની શક્તિ અર્પજે.

( મન્નીમા )

(

Share this

2 replies on “નમસ્તસ્યૈ નમો નમ: (૧)”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.