નમસ્તસ્યૈ નમો નમ: (૭)

.

હે, મા ! તાંતણે તાંતણો ગુંથાય ત્યારે જેમ વસ્ત્ર તૈયાર થાય છે તેમ જન્મ અને મૃત્યુના છેડાને ગાઢ રીતે બાંધતો જીવનરૂપી તાંતણો કેટલા તાણાવાણાથી અદ્દભુત રીતે ગુંથાયો છે એની કલ્પના કરીએ છીએ ત્યારે તારી લીલા નિહાળીને અમારું મસ્તક તારાં ચરણોમાં ઢળી પડે છે.

.

જીવન સુંદર છે કેમ કે તારું સર્જન છે. પણ અમારી અસ્થિર બુદ્ધિને લીધે અમે સુખ અને દુ:ખની અનુભૂતિઓમાં અટવાતાં રહીએ છીએ. અભિમન્યુ તો સાત કોઠામાંથી હેમખેમ પસાર થયો હતો અને આઠમા કોઠામાં અટવાઈ પડ્યો હતો જ્યારે અમે તો વિવિધ કોઠાઓમાં પહેલેથી જ એવા અટવાઈ પડીએ છીએ કે લગભગ અમારી સંવેદના સાવ ગુમાવી બેસીએ છીએ. મા, આ અમારી ભ્રમિત બુદ્ધિનું પરિણામ હોઈ શકે છે. આવું જ મા અમારી નિદ્રાનું છે. જાગવાના સમયે અમે ઘસઘસાટ ઊંઘીએ છીએ અને ઊંઘવાના સમયે અમે ઉજાગરા કરીએ છીએ. જીવનમાં આ જાગૃતિ અને નિદ્રાના અર્થને જ અમે સમજી શકતાં નથી. યોગીઓ જાગતા રહે છે અને સંસારીઓ નિદ્રામાં હોય છે આનો સ્થૂળ અર્થ કરીએ છીએ. આ જાગવું એટલે શું ? ઊંઘવું એટલે શું ?

.

મા ! અમારા જીવનમાં સાચી સમજણ કેમ ખીલતી નથી ? આવું કેમ બને છે ?

.

બુદ્ધિભ્રષ્ટ થાય તો જીવન આખું ભ્રષ્ટ થઈ જાય છે. કર્મના સંસ્કારો મુજબ સુખ કે દુ:ખ આવીને ઉભું રહે છે ત્યારે અમે ગભરાઈ જઈએ છીએ. અમે આનંદિત થઈએ તો પણ અને વિચલીત થઈએ તો પણ અમારી આવી માનસિક સ્થિતિને લીધે અમારી બુદ્ધિ અને નિદ્રા બન્ને બગડે છે….પણ, મા ! આવું કેટલો સમય ચાલશે ?

.

તું અમને તારાથી વિખુટા કેટલો સમય રાખી શકીશ ? મા સંતાનથી અળગી રહી જ ન શકે. તું-હું અને હું-તુંનો ભેદ વધુ સમય ભરમાવે એ પહેલાં અમને સાચી સમજ આપ કે અમારામાં રહેલી બુદ્ધિ અને નિદ્રા પણ તારું જ સ્વરૂપ છે અને પછી જો કે અમારા જીવનની આખી દ્રષ્ટિ કેવી બદલાઈ જાય છે !

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે

.

या देवी सर्वभूतेषु बुद्धिरुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

या देवी सर्वभूतेषु निद्रारुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

.

જે દેવી સર્વ પ્રાણીઓમાં બુદ્ધિરૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર.

જે દેવી સર્વ પ્રાણીઓમાં નિદ્રારૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર છે.

.

મા ! અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી અમને એવી દ્રઢ સમજણ આપ કે જેથી તારા દ્વારા બનાવેલ જીવનનો વિવિધરંગી આ ધાગો વધુ મજબૂત બને.

.

મા ! જગતનાં જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાને શક્તિ અર્પજે.

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.