નમસ્તસ્યૈ નમો નમ: (૮)

.

હે, મા ! નવરાત્રિના નવે દિવસોની એક એક ક્ષણ તારા નામના જાપથી વિતાવી છે. અમે જાણીએ છીએ કે આ પવિત્ર દિવસો તારી ભક્તિ કરવા માટેના પાવન પર્વ સમાન છે. આ દિવસોમાં કરેલાં સદ્દકાર્યોનાં શુભ ફળ અનેક ઘણાં હોય છે તો જાણે-અજાણે પણ કરેલાં પાપકર્મોનાં અશુભફળ પણ ગુણાકારની રીતે અનેક ઘણાં વધી જાય છે.

.

મા ! વિદ્વાનો, તત્વચિંતકો અને ઋષિમુનિઓના મુખેથી સાંભળ્યું છે કે આત્માના અવાજને અનુસરનાર વ્યક્તિ જ જીવને સદ્દગતિ આપવામાં અગ્રેસર બની શકે છે. મનની ભ્રમણાઓ તો ભમરાળી છે. તારી ભક્તિમાં ઓટ આવે કે તારા નામે નખરાં થતાં હોય ત્યાંથી દૂર રહેવામાં જ જીવનું કલ્યાણ છે. પણ, મા ! આ બધું જાણતાં હોવા છતાં અમને શું થયું છે એ જ સમજાતું નથી. ભ્રમણાઓનાં વમળો આત્માના અવાજ તરફ બેધ્યાન કરી મૂકે છે. જાગૃતિ રાખવાના પ્રયત્નો પણ નાકમિયાબ નીવડે છે અને અમે ગાફેલિયતમાં જ્યાં ટોળાં ઉમટ્યાં હોય ત્યાં પહોંચી જઈ તારા નામના ઓઠા નીચે અમારી સુષુપ્ત લાલસાઓ, કામનાઓ અને ઈચ્છાઓને સંતોષવા મથીએ છીએ.

.

મા ! પવિત્ર વાતાવરણમાં ભક્તિમય સૂરો સાથે ગવાતાં તારાં ગુણલાં રોમરોમમાં તારી શક્તિનો અહેસાસ કરાવે છે. પણ આ જાણકારીમાં અમારો સ્વાર્થ ભળે છે ત્યારે તારા આ પવિત્ર તહેવારોને પણ અમે સેવાના નામે વ્યવસાયમાં ફેરવી નાખીએ છીએ ત્યારે ભક્તિને બદલે ઉત્તેજના, ગુણને બદલે ઘેલછા છવાય છે. પણ તારા જ નામે થતી આજની કેટલીક નવરાત્રીઓની ગરબીઓમાં પણ તારી ગેરહાજરી હશે એમ તો કેમ કહી શકાય અને તેથી જ તારી સૂક્ષ્મ સ્વરૂપની હાજરીની પરવા કર્યા વિના પણ જ્યારે અમે અમારામાં રહેલા ખરાબ વિચારો, દ્વેષ, વૈમનસ્ય, સ્વાર્થ, તૃષ્ણાઓ, વિલાસવૃત્તિઓ જેવા અસુરો સાથે તારા મંડપમાં પ્રવેશ્યાં છીએ ત્યારે જીવનું કલ્યાણ કરવા સમર્થ તેં અમારા આ મહિષાસુરરૂપી રાક્ષસનાં અસુર સૈન્યને હણી નાખ્યું છે. તું બધાં જ પ્રાણીઓમાં ક્ષુધા અને છાયારૂપે રહેલી છે તેથી જ તું અમારી ન માફ થઈ શકે તેવી ભૂલોને પણ માફ કરે છે.

.

દેવતાઓ પણ તારું સ્મરણ કરતાં બોલે છે :

.

या देवी सर्वभूतेषु क्षुधारुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

या देवी सर्वभूतेषु छायारुपेण संस्थिता

नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:

.

જે દેવી સર્વ પ્રાણીઓમાં ક્ષુધારૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર. જે દેવી સર્વ પ્રાણીઓમાં છાયા-પ્રતિબિંબરૂપે રહેલી છે તેને નમસ્કાર, તેને નમસ્કાર, તેને વારંવાર નમસ્કાર.

.

ગબ્બરના ગોખે ઘૂમવાવાળી મા અંબા, મા ભવાની, ચોટીલાવાળી ચામુંડા, નવદુર્ગા આ નવે દિવસ અમે તારા સહવાસમાં રહેવા મથ્યાં છીએ અને તેથી જ અમારા પણ હ્રદયપૂર્વકના આ નમસ્કારને સ્વીકારી સર્વપ્રાણીઓમાં રહેલી તારી શક્તિને ઓળખવાની અમારા સ્વભાવમાં સાચી ક્ષુધા-તરસ પ્રગટાવ કે જે તરસ પણ તારું જ સ્વરૂપ હોય તો મા અમારા જીવનની દરેક ક્ષણ નવરાત્રિ બનીને રહે.

.

મા ! જગતનાં જીવોનું કલ્યાણ કરજે. સૌનું દુ:ખ હરજે અને અમને તારાં કાર્યો કરવા માટે નિમિત્ત બનવાને શક્તિ અર્પજે.

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.