લાચાર માનવીને અછત હોય તોય શું ?
ઉપયોગમાં ન આવે, બચત હોય તોય શું ?
.
ઈશ્વરનું હોવું મારે કદી પણ ફળ્યું નથી,
મારી સમજ ધરાર અસત હોય તોય શું ?
.
સચ્ચાઈ મારી પાસે પુરાવા વિનાની છે,
તારીખ, વાર સાથે વિગત હોય તોય શું ?
.
ચાહે ગમે તે રૂપે, એ શરણાગતિ જ છે,
હાર્યા પછીયે મારી શરત હોય તોય શું ?
.
ચૂકી ગયો દિશા ને ભટકવાનું માત્ર છે,
રસ્તો હવે પછીનો સખત હોય તોય શું ?
.
ખામોશ થઈ ગયેલો પરિચિત અવાજ છું,
કોઈને આજે મારી ખપત હોય તોય શું ?
.
‘નાશાદ’ મારી રીતે હું સાચો રહ્યો છું પણ,
કોઈને મન એ ખોટી મમત હોય તોય શું ?
.
( ગુલામ અબ્બાસ ‘નાશાદ’ )
હાર્યા પછીયે મારી શરત હોય તોય શું… વાહ
ખૂબ સરસ
હાર્યા પછીયે મારી શરત હોય તોય શું… વાહ
ખૂબ સરસ
સરસ ગઝલ!
સરસ ગઝલ!