પરમહંસના મોતી

By heenaparekh  

૧.

એકમાં શ્રદ્ધા હોય તો બસ. નિરાકારમાં શ્રદ્ધા એ તો સારું, પરંતુ એવી ભાવના રાખવી નહીં કે માત્ર એ જ સાચું, બીજું બધું ખોટું. એટલું જાણજો કે નિરાકાર પણ સાચું તેમ જ સાકાર પણ સાચું. તમને જેમાં શ્રદ્ધા હોય તેને પકડી રાખજો.

.

૨.

સંસારનું બધું કામ કરવું, પણ મન ઈશ્વરમાં પરોવી રાખવું. ઈશ્વરભક્તિ પ્રાપ્ત કર્યા વિના જો સંસાર ચલવો તો ઉલટા વધુ સપડાઓ. સંકટ, શોક, તાપ એ બધાંથી હેરાન થઈ જાઓ. હાથે તેલ લગાડીને પછી ફણસ ચીરવું જોઈએ, નહીંતર એનું દૂધ હાથે ચોંટી જાય. ઈશ્વરભક્તિરૂપી તેલ ચોપડીને પછી સંસારના કામમાં હાથ લગાડવા જોઈએ.

.

૩.

સંસાર જાણે કે પાણી, અને મન જાણે કે દૂધ. દૂધને જો પાણીમાં નાખો તો દૂધ-પાણી મળીને એક થઈ જાય, ચોખ્ખું દૂધ મળે નહીં. પણ દૂધનું દહીં જમાવી, તેમાંથી માખણ કાઢીને જો પાણીમાં રાખીએ તો તે તરે. એટલા માટે એકાંતમાં સાધના કરીને પ્રથમ જ્ઞાનભક્તિરૂપી માખણ કાઢી લો. એ માખણ સંસારજળમાં રાખી મૂકો તો તેમાં ભળી ન જાય, તર્યા કરે.

.

૪.

ઈશ્વર પ્રાણીમાત્રમાં છે. પણ સારા માણસોની સાથે હળવુંમળવું ચાલે; જ્યારે નરસા માણસોથી દૂર રહેવું જોઈએ. એમ તો વાઘની અંદર પણ નારાયણ છે, એટલે કંઈ વાઘને ભેટી પડાય નહીં !

.

૫.

કોઈ કોઈ એમ ધારે કે વધુ પડતું ‘ઈશ્વર ઈશ્વર’ કરવાથી મગજ બગડી જાય. એમ થાય નહીં. આ તો અમૃતનું સરોવર, અમૃતનો સાગર ! વેદમાં તેને ‘અમૃત’ કહ્યું છે. એમાં ડૂબી જવાથી મરાય નહીં, અમર થવાય.

.

૬.

જો તાળબંધ ઓરડાની અંદરનું રત્ન જોવાની અને મેળવવાની ઈચ્છા હોય તો મહેનત કરી ચાવી લાવીને બારણાનું તાળું ઉઘાડવું જોઈએ. ત્યારપછી રત્ન બહાર કાઢવું જોઈએ. નહીં તો ઓરડો તાળાબંધ, તેના બારણાની બહાર ઉભા ઉભા વિચાર કરીએ, કે આ બારણું મેં ઉઘાડ્યું, આ પેટીનું તાળું ખોલ્યું, આ રત્ન બહાર કાઢ્યું; એમ માત્ર ઉભા ઉભા વિચાર કરવાથી કાંઈ વળે નહીં. સાધના કરવી જોઈએ.

.

૭.

એમ ધારવું એ સારું નહીં કે મારો ધર્મ જ સાચો ને બીજા બધાના ધર્મો ખોટા. બધા માર્ગોએ થઈને ઈશ્વરને પામી શકાય. હ્રદયની વ્યાકુળતા હોય તો બસ.

.

૮.

નામનું ખૂબ માહાત્મ્ય છે ખરું, પણ અનુરાગ ન હોય તો શું વળે ? ઈશ્વરને માટે પ્રાણ આતુર થવા જોઈએ. નામ લીધે જઈએ છીએ, પણ મન કામકાંચનમાં પડ્યું હોય, એથી શું વળે ? વીંછીંનો કે મોટા કરોળિયાનો ડંખ એકલા મંત્રથી ન મટે, છાણાનો શેક-બેક કરવો જોઈએ.

.

૯.

જેની પાકી ખાતરી છે કે ઈશ્વર જ કર્તા છે અને હું અકર્તા, તેનાથી પાપ થાય જ નહીં. જે નાચવાનું બરાબર શીખ્યો હોય તેનો પગ તાલથી બહાર પડે જ નહીં. અંતર શુદ્ધ થયા વિના ઈશ્વર છે એવી શ્રદ્ધા જ બેસે નહીં.

.

૧૦.

’તમે’ અને ‘તમારું’ એનું નામ જ્ઞાન; ‘હું’ અને ‘મારું’ એ અજ્ઞાન.

.

( રામકૃષ્ણ પરમહંસ )

Share

6 Comments

  1. deepak desai
    Posted March 6, 2011 at 8:38 pm | Permalink | Reply

    Jiav nu nam j shradhha chhe… shradhha ane saburi be jo jivan ma hoi to sukh ane shanti sahaj prapt thai

  2. વિહંગ વ્યાસ
    Posted March 6, 2011 at 10:38 pm | Permalink | Reply

    અરે વાહ….આ તો નર્યુ અમૃત છે. ઠાકુરનાં સ્વધામગમનને વરસો વીતી ગયા પરંતુ તેમનું અવતાર કાર્ય હજી અવિરતપણે શરૂ ના હોત તો તેમના શબ્દો આપણાં ચિત્તને ક્યારેય આકર્ષિ શક્યા ન હોત. ખુબજ મજા આવી હિનાબેન. ખુબ ખુબ આભાર.

  3. Posted March 6, 2011 at 10:39 pm | Permalink | Reply

    હિનાબહેન

    આજે શ્રી રામકૃષ્ણદેવની જન્મજયંતિએ પરમહંસના મોતી વાંચીને ખૂબ આનંદ થયો.

    આભાર.

  4. Posted March 6, 2011 at 10:55 pm | Permalink | Reply

    હિનાબેન,

    આપના બ્લોગ પર ઠાકુરના વિચારો દર્શાવી અને તેમની જન્મતિથીના સરસ રીતે તેમની વંદના કરી છે.

    શ્રીરામકૃષ્ણદેવ -મા શારદા અને સ્વામીજી (વિવેકાનંદજી) આપ તેમજ આપના પરિવારજન પર સદા કૃપા કરે તેજ પ્રાર્થના !

  5. Posted March 7, 2011 at 3:15 am | Permalink | Reply

    વાહ ઠાકુરની વાતો…

  6. Sharad Shah
    Posted March 11, 2011 at 12:47 pm | Permalink | Reply

    સત્ગુરુ શ્રી રામકૃષ્ણ પરમહંસદેવના ખુબ જ સુંદર વચનો છે. ઍકાદ વચન પણ જીવનમાં ઉતરે તો જીવન ધન્ય થઈ જાય. પણ આપણી સમસ્યા જ એ છે કે સતવચનો ની વાહ વાહ કરી તેને કોરાણે મૂકી દઈએ છીએ કે બીજાની વાહ વાહ મેળવવા તેને બીજાને આપી દઈ આપણે નીરાંતનો દમ લઈ સોડ તાણીને પાછા સુઈ જઈએ છીએ.આપણી સમસ્યાઓ જ આપણને સમજાતી નથી. જે દિવસે સમજાવા માંડે ત્યારથી જ યાત્રા શરુ થાય છે.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME