ક્યાં સુધી ? – ઘનશ્યામ ઠક્કર

શક્યતાનાં દ્વાર સાંકળ બનીશું ક્યાં સુધી ?

ખુદ દિશાઓને સમેટી વિસ્તારીશું ક્યાં સુધી ?

.

આ હથેળીના અજાણ્યા, અટપટા માર્ગો ઉપર,

ક્યાં જઈ ખોવાઈશું ? કોને મળીશું ? ક્યાં સુધી ?

.

આમ તો મૃગજળ સમું ક્ષિતિજોને મળવા દોડવું;

તોય ઉંબરને અડી પાછા ફરીશું ક્યાં સુધી ?

.

અસ્તિત્વના ચગડોળ પર બે પળ ખુશી તો શક્ય છે,

પણ ધરીની વેદના ભૂલી શકીશું ક્યાં સુધી ?

.

રોજ સૂરજ તો ફસાવે છે કિરણની જાળમાં,

રોજ ઝાકળ થૈ સવારે અવતરીશું ક્યાં સુધી ?

.

જ્યાં પિલાવાનું સતત ઘડિયાળનાં ચક્રો વચે,

’ક્યાં સુધી’નો પ્રશ્ન પણ પૂછ્યા કરીશું ક્યાં સુધી ?

.

( ઘનશ્યામ ઠક્કર )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.