મહોરાં ઉતારો તો દેખાય કદાચ
.
શિયાળનો ચહેરો
વાઘ વરુ કે લોંકડીનો ચહેરો
શ્વાન ઝરખ કે ગર્દભનો ચહેરો
.
ચહેરા તો કેટકેટલા
મહોરાં ઉતારીને જોતાં રહેવું
.
નરો વા કુંજરો વા કહ્યા પછી
ધર્મરાજ યુધિષ્ઠિરનો ચહેરો
.
એકલવ્યનો અંગૂઠો માગી લીધા પછી
ગુરુવર્ય દ્રોણાચાર્યનો ચહેરો
.
સીતાને વનમાં મૂકી આવવાની આજ્ઞા પછી
મર્યાદા પુરુષોત્તમ શ્રીરામનો ચહેરો
.
ચહેરા તો કેટકેટલા
મહોરાં ઉતારીને જોતાં રહેવું
.
કદાચ ક્યારેક દેખાઈ જાય
ભલા ભોળા માનવીનો ચહેરો
.
( જયા મહેતા )