હું મારા – શૈલા પંડિત

By heenaparekh  

૯.

હે ઈશ્વર,

હું મારા માનવભાંડુઓ પ્રત્યે

સહિષ્ણુતા દર્શાવી શકું

એટલું બળ મને આપતો રહેજે.

 .

એમને અનેક મુશ્કેલીઓ છે,

અને તેમની સમસ્યાઓનો પાર નથી

એ હું સમજું છું,

જેઓ પ્રેમ ભૂખ્યા છે

એઓ મને જરૂર આવકારશે.

પણ ઘણાની વણપુરાયેલી આકાંક્ષાઓ

એટલી બધી છે,

તેમને એટલી અધિરાઈ છે કે,

હું ત્યાં કેમ કેમ પહોંચી શકીશ ?

 .

એમના પ્રત્યે ઋજુતા દાખવતાં,

મારા મનને ધક્કા પણ લાગે.

ને એમ થાય તો પણ ભલે.

મને એમને પ્રેમ કરવાની શક્તિ આપજે,

પ્રોત્સાહન આપજે.

 .

કંઈ નહિ તો,

હું મારા એકલવાયાપણાથી

તો મુક્ત થઈ જઈશ !

 .

૧૦.

હે ઈશ્વર,

મને મારા જીવનનું લક્ષ્ય ઘડવામાં સહાય કર,

જેથી હું મારા જીવનને સાર્થક કરી શકું.

એ માટે આવશ્યક એવા

પુરુષાર્થનું મને બળ આપજે.

 .

હું સમજું છું કે,

તેં દરેક પંખી માટે ચારો સરજ્યો છે,

પણ તે તું એના માળામાં નથી નાખી આવતો.

એ ચારાની ખોજ કરવા

તેણે માળો છોડીને બહાર વીહરવાનું રહે જ છે.

 .

હું સમજું છું કે,

માનવજાતિની ભૂખ મિટાવવા

તેં ઘઉં સરજ્યા છે.

પણ તેની રોટી બનાવવાની કામગીરી

તેં એના પર જ છોડી દીધી છે.

 .

એટલે કે,

મારું લક્ષ્ય નક્કી થઈ જાય તે પછી

તેને સિદ્ધ કરવાનો પુરુષાર્થ

મારે પોતે જ કરવાનો છે.

 .

તો બસ, તારી પાસે

મારી એટલી જ અપેક્ષા છે :

મારા ઠરાવેલા લક્ષ્યની સમીપે પહોંચી જવા

તું મને

બળ, સામર્થ્ય અને કૌશલ્ય આપજે.

તે સિદ્ધ કરતાં કરતાં

હું હેઠે પડી જાઉં તો

ફરી ફરી ઉઠવાની શક્તિ આપજે.

બાકી તો,

જે કંઈ કરવાનું છે તે મારે જ.

 .

( શૈલા પંડિત )

Share

One Comment

  1. Posted August 8, 2011 at 12:00 pm | Permalink | Reply

    હિનાબેન, નિત્ય નવી પ્રાર્થના નો લાભ આપો છો, ખૂબજ ઉત્તમ ભાવ સાથેની પ્રાર્થના જાણવા મળે છે.

    આભાર !

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME