http://heenaparekh.com/2011/10/12/dosh-na-aapo/
નથી મંઝિલ મળી એનો ચરણને દોષ ના આપો
કશું દેખાય ના તો આવરણને દોષ ના આપો
.
હકીકત છે તમે એકેય પણ બારી નથી ખોલી
બધે અંધાર છે ઘરમાં કિરણને દોષ ના આપો
.
નજર સામે પડેલું સત્ય સમજાતું નથી એને
લખ્યું વાંચી નથી શકતો અભણને દોષ ના આપો
.
નથી સંભવ હિસાબો રાખવા વીતેલ વરસોના
ઘણું ભુલાય છે એમાં સ્મરણને દોષ ના આપો
.
કશું ના બહારથી આવે, અનર્થો હોય છે ભીતર
મળે જો શાપ તો વાતાવરણને દોષ ના આપો
.
ન ચેતવણી કશી, ના કૈં સમય આપે, ઉપાડી લે
ફરજ આધીન વર્તન છે મરણને દોષ ના આપો
.
( ઉર્વીશ વસાવડા )



One Comment
Very true.