(૧)
‘બંદીવાન ! તને કોણ બંધનમાં નાખી ગયું, એ તો તું મને કહે !’
.
‘બંધનમાં બીજું કોણ નાખે ? મારો સ્વામી. મારો માલિક. એણે મને બંધનમાં નાખ્યો. એક વિચાર મને આવ્યોહતો : દુનિયાના તમામ લોકોને પૈસામાં ને સત્તામાં મારી પછવાડે રાખી દઉં તો હું ખરો ! એ વિચારની ધૂનમાં મેં ધનના ઢગલેઢગલા ભેગા કરવા માંડ્યા, રાત-દી જોયા વિના, આડુંઅવળું નિહાળ્યા વિના ! એ રીતે જે મારા સ્વામીનું હતું, તે પણ મારા ખજાનામાં ભેગું કર્યું. પછી થાકીને જ્યારે હું નિદ્રામાં પડ્યો, ત્યારે શય્યા પણ મારા સ્વામીની હતી, તેમાં જ હું લોટી ગયો. પછી હું જાગ્યો, અને જાગીને જોઉં છું, તો મારા પોતાના જ લક્ષ્મીગૃહમાં હું બંદીવાન હતો !’
.
‘પણ બંદીવાન ? તને બંધનમાં નાખ્યો એ તો ઠીક, પરંતુ આવું ન છૂટે કે ન તૂટે, એવું બંધન તને કોણે બાંધ્યું ?’
.
‘એ તો મેં પોતે જ બાંધ્યું છે ! મેં જ મારું બંધન સંભાળપૂર્વક ઘડી કાઢ્યું છે. મને મારી શક્તિનો ગર્વ હતો. એ આખી દુનિયાને બંધનમાં રાખી શકે અને છતાં એ પોતાને મુક્ત રાખી શકે ! મારી આ માન્યતાના વેગમાં ને વેગમાં, મેં તો રાત ને દિવસ જંગી ભઠ્ઠીમાં લોહ ગાળ્યું ને જબ્બર ઘણ-ઘાથી એને મજબૂત બનાવ્યું. મારી આ લોહ-સાંકળી મેં જ ઘડી કાઢી. એવી અભેદ્ય બની ત્યારે એક આશ્ચર્ય મેં જોયું!
.
બીજાને બંધનમાં રાખવા માટે તૈયાર કરેલી મારી એ લોહ-સાંકળી, મને જ બંધનમાં જકડી રહી હતી !
.
‘મારું બંધન, મેં જ સંભાળપૂર્વક ઘડી કાઢ્યું છે, એમ જ કહો ને?’
.
(૨)
મારી જાણ બહાર હે મારા નાથ ! તું સામાન્યમાં પણ સામાન્ય જનની જેમ, કેટલી વખત મારા અંતરમાં આવી આવી ને ચાલ્યો ગયો ?
.
તેં મારી ત્વરિત દોડી જતી અનેક પળોને સ્પર્શ કર્યો અને તે અમર થઈ ગઈ !
.
આ બધું મારા અજાણપણામાં થઈ ગયું. પણ આજે જ્યારે એ પળોને નીરખવાની હું અકસ્માત તક લઉં છું, ને તારા સ્પર્શની નિશાની જોઉં છું, ત્યારે એને મારા ક્ષુલ્લ્ક આનંદ અને શોકમાં સેળભેળ થઈ ગયેલી નીરખું છું.
.
પણ એ દર્શાવે છે કે મારા શૈશવકાલની ધૂળની રમતમાંથી તું અવગણના કરીને પાછો ફરી ગયો ન હતો. તે વખતના નિર્દોષ આનંદમાં, જે તારો પગરવ મેં સાંભળ્યો હતો, તે જ તારો પગરવ આજે, એક એક તારકમાં અને એક એક નક્ષત્રમાં સંભળય છે !
.
( રવીન્દ્રનાથ ટાગોર )