મૂર્ધન્ય સાહિત્યકાર ઉશનસ ( નટવરલાલ કુબેરદાસ પંડ્યા ) નું વલસાડ મુકામે નિધન.
.
વડોદરાના સાવલી-સદ્દમાતાના ખાંચામાંથી નોકરી અર્થે વલસાડ-લક્ષ્મી શેરી મુકામે સ્થાયી થયેલા ઉશનસ સાહેબે આખરી વર્ષોમાં વલસાડને જ વતન બનાવીને વલસાડને ગૌરવ બક્ષ્યુ હતું. સુરતને જેમ “નર્મદ નગરી” કહેવામાં આવે તેમ વલસાડને હું “ઉશનસ નગરી” કહેવાનું પસંદ કરતી. તેમનો જન્મ વડોદરાના સાવલીમાં તા. ૨૮/૦૯/૧૯૨૦ના રોજ થયો હતો. વલસાડની આર્ટસ કોલેજમાં તેમણે ઘણાં વર્ષો સુધી આચાર્ય તરીકે સેવા આપી હતી. મારા માતા-પિતાને તેમના હાથ નીચે અભ્યાસ કરવાનો પણ અવસર મળ્યો હતો. જ્યારે મેં તેમને અનેક કાર્યક્રમોમાં સાંભળ્યા છે તથા ખભે થેલો લટકાવીને વલસાડના રસ્તાઓ પર ચાલતા જોયા છે. ક્યારેક અમારા ઘરે પણ કોઈ કામ માટે આવતા. મારા પપ્પા તેમને કહેતા કે મારી દીકરીને પણ સાહિત્યમાં બહુ રસ છે ત્યારે સાંભળીને બહુ ખુશ થતા.
.
વીર નર્મદદક્ષિણ ગુજરાત યુનિવર્સિટી દ્વારા હાલમાં જ એમને ડિલ. લિટ.ની ઉપાધિથી નવાજવાનું જાહેર કરવામાં આવ્યું હતું. ગુજરાતી પ્રતિભા પરિચય બ્લોગના આધારે તેમનો વધુ પરિચય મેળવીએ.
.
નામ
નટવરલાલ કુબેરભાઇ પંડ્યા
ઉપનામ
ઉશનસ
જન્મ
28-9-1920 , સાવલી – વડોદરા
અભ્યાસ
- એમ.એ.
વ્યવસાય
- વલસાડ આર્ટ્સ કોલેજમાં આચાર્ય
જીવન ઝરમર
- વિપુલ અને વિવિધ કવિતાઓ
- બ.ક.ઠા. પછી ઘણાં સોનેટ આપ્યાં છે.
સન્માન
- 1972 – રણજિતરામ સુવર્ણચંદ્રક
- 1963-67 – નર્મદ સુવર્ણચંદ્રક *
- સાહિત્ય અકાદમી, દિલ્હીનો એવોર્ડ @
- શ્રી અરવિંદચંદ્રક +
મુખ્ય રચનાઓ
- કવિતા – પ્રસૂન, તૃણનો ગ્રહ * , અશ્વત્થ @, વ્યાકુળ વૈષ્ણવ +, ભારતદર્શન, , રૂપના લય, આરોહ અવરોહ
- વિવેચનો – બે અધ્યયનો, રૂપ અને રસ, મૂલ્યાંકનો
- પ્રવાસ – પશ્ચિમી દેશોનો પ્રવાસ
- જીવનચરિત્ર – સદમાતાનો ખાંચો
.
ઉશનસ સાહેબનું જાણીતું કાવ્ય “વળાવી બા આવી” આ સાથે મૂકું છું.
.
“રજાઓ દિવાળી તણી થઇ પૂરી, ને ઘર મહીં
દહાડાઓ કેરી સ્ખલિત થઇ શાંતિ પ્રથમની,
વસેલાં ધંધાર્થે દૂર-સુદૂર સંતાન નિજનાં
જવાનાં સૌ કાલે તો , જનકજનની ને ઘર તણાં
સદાનાં ગંગામા-સ્વરૂપ ઘરડાં ફોઇ, સહુએ
લખાયેલો કર્મે વિરહ મિલને તે રજનીએ
નિહાળ્યો સૌ વચ્ચે નિયત કરી બેઠો નિજ જગા,
ઉવેખી એને સૌ જરઠ વળી વાતે સૂઇ ગયાં;
સવારે ભાભીનું ભર્યું ઘર લઇ ભાઇ ઉપડ્યા,
ગઇ અર્ધી વસ્તી, ઘર થઇ ગયું શાંત સઘળું,
બપોરે બે ભાઇ અવર ઊપડ્યા લેઇ નિજની
નવોઢા ભાર્યાઓ પ્રિય-વચન-મંદ-સ્મિત-વતી;
વળાવી બા આવી નિજ સકળ સંતાન ક્રમશઃ
ગૃહવ્યાપી જોયો વિરહ, પડી બેસી પગથિયે.”
.
કવિશ્રીની સ્મશાનયાત્રા આજે (૦૬/૧૧/૨૦૧૧) બપોરે ૨.૦૦ વાગ્યે એમના નિવાસસ્થાનેથી નીકળશે.
.
વલસાડ વતી હું કવિશ્રીને હાર્દીક શ્રદ્ધાંજલિ પાઠવું છું.
નતમસ્તક… !
Thanks…nice and prompt information
કવિશ્રી ઉશનશને એમની આત્માને ભાવભીની શ્રદ્ધાંજલિ..ગુજરાતી આકાશનો અમૂલખ તારલો સદા ચમકતો જ રહેશે.ઓમશાંતિ..શાંતિ…શાંતિ…..
kavishreeno sahityik parichay hato. parmatmane gamyu te kharu.
માતૃ ભાષા એ એક પુત્ર ગુમાવ્યો.. તેમના આત્માને શાંતિ મળે અને કુટુંબીજનોને આ વિરહ સહ્ય બને તેવી પ્રભુને પ્રાર્થના
આદરણીય કવિશ્રીને વંદન અને વિદાય
—-
પ્રતિભા પરિચયમાંથી આમ પરિચય આપવા માટે અંતરથી આભાર…
સદ્ ગત કવીશ્રીને હાર્દીક શ્રદ્ધાન્જલી..
કવી શ્રી ઉશનસજી ના સદગત આત્માને ઈશ્વર શાંતિ અર્પે તેજ પ્રાર્થાના ..