બે ગઝલ – ખલીલ ધનતેજવી

(૧)

.

ભીતર પરપોટા ફૂટે છે,

દિલની નાજુક નસ તૂટે છે.

 .

ફાંટ ભરીને આપ્યું તોયે,

દાનતમાં મુઠ્ઠી ખૂટે છે.

 .

વેરભાવ સૌ છોડી બેઠા,

ગાંઠ હજી પણ ક્યાં છૂટે છે.

.

એમ ફટાફટ બોલી દો છો,

જાણે કે ધાણી ફૂટે છે.

.

રાખ ખલીલ અત્તરનો ફાયો,

માણસમાં ખુશબો ખૂટે છે.

 .

(૨)

 .

આ બધા ઠાઠબાટ રહેવા દે,

જિન્દગીને સપાટ રહેવા દે.

 .

કોક મહેમાન અચાનક આવે,

ઓસરીમાં જ ખાટ રહેવા દે.

 .

જા સજાવી દે ઘર નવેસરથી,

માત્ર જૂનું કબાટ રહેવા દે.

 .

ખોડીબારું જ એક પૂરતું છે,

બંધ આ ગાડાવાટ રહેવા દે.

 .

એ ખલીલ આવશે સમી સાંજે,

ભરબપોરે ઉચાટ રહેવા દે.

.

( ખલીલ ધનતેજવી ‌)

Share this

2 replies on “બે ગઝલ – ખલીલ ધનતેજવી”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.