અધૂરો ઘડો – ભગવતીકુમાર શર્મા

અધૂરો ઘડો છું, હું છલકાઉં પણ

ને ખાલી થયા બાદ ઊભરાઉં પણ !

 .

હું પસ્તિત્વને આજ પામ્યો ભલે;

ભવિષ્યે ફરીથી હું વંચાઉં પણ.

 .

કરું છું હું પસ્તાવો નિજ પાપનો;

આ અશ્રુથી ભીતરમાં ધોવાઉં પણ.

 .

છું ઈશ્વરના સાંનિધ્યમાં હું છતાં

હરણ જોઈ સોનેરી લલચાઉં પણ.

 .

રઝળપાટ લમણે લખ્યો છે ભલે;

હું મારા અસલ ઘર ભણી જાઉં પણ.

 .

ગડી વાળીને તેં જ મૂક્યો હતો;

હું હૈયાધબકમાં જ દેખાઉં પણ.

 .

દીવાલોથી અળગો થયો છું છતાં

હું પડધો બનીનેય ટકરાઉં પણ.

 .

( ભગવતીકુમાર શર્મા )

Share this

3 replies on “અધૂરો ઘડો – ભગવતીકુમાર શર્મા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.