પ્રાર્થના – સુરેશ દલાલ

By heenaparekh  

એક વાત તો નક્કી છે – કે આપણે બન્ને જુદા છીએ. તું ભગવાન અને હું ભક્ત. હું આત્મા અને તું પરમાત્મા. તું જેટલો અમારી બહાર છે એટલો જ કદાચ અમારી ભીતર પણ છે. આ બહાર-ભીતરની ઘટના આછી આછી સમજાય છે પણ પૂર્ણપણે પામી શકાતી નથી. આપણે જુદા છીએ એટલે તો એક થવાની વાત કરું છું. આપણે એક કેવી રીતે થઈ શકીએ એ જ મારા ચિંતન, મનનનો પ્રશ્ન છે. તારા સરોવરમાં મારે કમળ થઈને ઊગીને મારે જલકમલવત નથી રહેવું. મારે તો કરવું છે તારા સરોવરમાં સ્નાન. જ્ઞાન નથી જોઈતું. મને તો જોઈએ છે તારામાં તરબોળ થઈ શકું એવી ભક્તિ કે જેથી કોઈ જુદાપણું કે જુદાઈ આપણી વચ્ચે રહે જ નહીં.

 .

મધરાતનો સમય છે. મેં પ્રકટાવ્યો છે એક દીવો. અંધકારનો મરજીવો હોય એમ હવે એ સળગે છે પોતાની મેળે, જીવે છે પોતાને બળે અને તારી કૃપાએ. આ દીવો – એને કોઈ નામની જરૂર હોય તો નામ પણ આપીએ. એનું નામ પ્રતીક્ષા છે. એ રાહ જોયા કરે છે – માત્ર તારી, જેથી જ્યોતમાં જ્યોત મળી જાય. એની પાસે માત્ર આટલી જ મિરાત છે અને એ જીવવા માટે પૂરતી છે. આ મિરાતના નામની પણ જરૂર હોય તો નામ પણ આપીએ. એનું નામ ધીરજ અને શ્રદ્ધા. મધરાતનો સમય છે. એની જ્યોતમાંથી જ પ્રકટ થશે એક સુવર્ણમય સૂરજ. તું સૂરજ અને હું સૂરજમુખી.

 .

( સુરેશ દલાલ )

Share

2 Comments

  1. sneha
    Posted December 13, 2011 at 3:29 pm | Permalink | Reply

    adhi axar…’mast’ :-)

  2. Posted December 18, 2011 at 1:56 pm | Permalink | Reply

    Nice. Suresh Dalal As Always Fabulous with his Words. Love You for Sharing.

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME