મારા ઘરની બારી બહાર – પન્ના નાયક

By heenaparekh  

.

મારા ઘરની બારી બહારનું વૃક્ષ

હવે

પાનખરનાં એંધાણ આપે છે.

એ વૃક્ષનાં

અડધાં લીલાં, અડધાં પીળાં

ને

વધુ તો રતુંબડાં પાંદડાં

તડકામાં લહેરાય છે.

પવન આવે ત્યારે

રતુંબડાં પાંદડાં

ચોક્કસ સમયે જ

ખરખર ખરે છે.

વૃક્ષ પરથી ખરવાના સમયની

એમને કેવી રીતે ખબર પડતી હશે ?

વૃક્ષથી અળગા થવું એટલે શું ?-

એની એમને ખબર હશે?

ભર ઉનાળાની જાહોજલાલી માણીને

અળગા થતી વખતે

પાંદડાંને અને વૃક્ષને શું થતું હશે ?

 .

મારા શરીર પરનાં પાન પણ

હવે

લીલામાંથી થોડાં પીળાં, થોડાં રતુંબડાં થવા માંડ્યાં છે.

એ ખરેખર ખરે

એ પહેલાં

મનમાં ઢબુરી રાખેલી

કેટલીય વાત

મારે મારા સ્વજનને કહેવી છે.

ક્ષુલ્લક વસ્તુઓથી ભરેલો ભંડાર ખાલી કરવો છે.

આ સંઘરો શેને માટે ? કોને માટે ?

અને

વસાવેલાં પુસ્તકોના લેખકોના ડહાપણમાંથી

મોડે મોડે વાંચી લેવી છે

એમણે આપેલી

અંતની શરૂઆતની સમજ.

દરમિયાન,

ચૂકી નથી જવી

આ ખુશનુમા સવારે

બારી બહારની

બદલાતા રંગોની છટા.

 .

( પન્ના નાયક )

Share

3 Comments

  1. Posted January 22, 2012 at 1:17 pm | Permalink | Reply

    હૃદયસ્પર્શી રચના…છેલ્લે છેલ્લે એમ પણ ઘણું બધું એક સાથે યાદ આવતું હોય છે કરવાને જે આજીવન આપણે અવગણતા રહ્યા હોઈએ છીએ જાણી જોઇને…

  2. Posted January 22, 2012 at 7:13 pm | Permalink | Reply

    પન્ના નાયક તેમની કૃતિ દ્વારા જીવનના માર્મિક રહસ્યો ને સમાજ તરફ ખુલ્લા કરે છે … ખૂબજ સુંદર રચના !

  3. Posted February 5, 2012 at 3:22 am | Permalink | Reply

    હીનાબહેન,

    મારું કાવ્ય તમને ગમ્યું એથી ખૂબ રાજી થઈ. તમારી સાઈટ સરસ છે. તમારો ઇ-મેઈલ મોકલશો?

    પન્ના નાયક

Post a Comment

Your email is never shared. Required fields are marked *

*
*
Powered By Indic IME