ગૃહદીપ પેટાવ – રવીન્દ્રનાથ ટાગોર

.

મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.

 .

તારો પ્રકાશ પામીને મારાં બધાં દુ:ખ અને શોક સાર્થક થાઓ.

 .

ખૂણે ખૂણામાં જે અંધકાર છુપાયેલો છે, તે ધન્ય થઈને મરો, તારા પુણ્યપ્રકાશમાં બેસીને હું પ્રિયજનને પ્રેમ કરું.

 .

મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.

 .

તારો પ્રદીપ સ્પર્શમણિનો છે, એની જ્યોત અચપલ છે, મારાં બધાં કાળાં કલંકને એ પલકમાં સોનું બનાવી લો.

 .

મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.

 .

હું જેટલાં દીપ સળગાવું છું તેમાં કેવળ જ્વાળા અને કેવળ કાજળ હોય છે. મારા ઘરના બારણા ઉપર તારાં કિરણો વર્ષાવ.

 .

મારા આ ઘરમાં પોતાને હાથે ગૃહદીપ પેટાવ.

 .

* * * * * * * * * *

.

હે પ્રભુ, જો મારું આ હૃદયદ્વાર કોઈ વાર બંધ રહે તો તું દ્વાર ભાંગીને મારા પ્રાણમાં આવજે, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.

 .

જો કોઈ દિવસ આ વીણાના તાર તારું પ્રિય નામ ન ઝંકારે તો તું દયા કરીને ક્ષણેક ઊભો રહેજે, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.

 .

જો કોઈ વાર તારા આહવાનથી મારી ઊંઘનું ઘેન ન ઊડી જાય, તો તું મને વજ્ર-વેદનાથી જગાડજે, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.

 .

જો કોઈ વાર હું તારા આસન ઉપર બીજા કોઈને પણ જતનપૂર્વક બેસાડું, તો હે મારા ચિર કાળના રાજા, પાછો ન ચાલ્યો જતો, પ્રભુ.

 .

( રવીન્દ્રનાથ ટાગોર )

Share this

4 replies on “ગૃહદીપ પેટાવ – રવીન્દ્રનાથ ટાગોર”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.