પહોંચ્યા ન ફરિશ્તાઓ – ભગવતીકુમાર શર્મા

.

પહોંચ્યા ન ફરિશ્તાઓ, પયમ્બર નહીં પહોંચે,

માણસની આ ઔલાદને ઈશ્વર નહીં પહોંચે !

 .

તારા સુધી કાગળ અને પત્તર નહીં પહોંચે,

આંગળીઓ બરફ થૈ ગઈ, અક્ષર નહીં પહોંચે.

 .

બપ્પોર ઢળી સાંજ, કવેળાનું અંધારું;

ભૂલું પડ્યું બાળક તે ફરી ઘર નહીં પહોંચે.

 .

બસ, આટલો ઈન્સાફ હું માગું છું જગતમાં:

નિર્દોષના માથા સુધી પથ્થર નહીં પહોંચે.

 .

મારી આ વ્યથાને તો હું ચૂપચાપ સહી લઈશ,

તારા સુધી મારું કોઈ કળતર નહીં પહોંચે.

 .

આ કેવી સપાટીની અનુભૂતિ મળી છે !

છે બહાર બધી ભીડ તે ભીતર નહીં પહોંચે.

 .

ઝળહળ છે મહેફિલ, છતાં ખૂણામાં છે ઝાંખપ,

લાગે છે ત્યાં લગ કોઈ ઝુમ્મર નહીં પહોંચે.

 .

તેં સ્વપ્ન તો ભવભવનાં બનાવ્યાં છે પરંતુ

એ ક્ષણ સુધી આ શ્વાસની હરફર નહીં પહોંચે.

 .

( ભગવતીકુમાર શર્મા )

Share this

5 replies on “પહોંચ્યા ન ફરિશ્તાઓ – ભગવતીકુમાર શર્મા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.