આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- ઇડલી, ઓર્કિડ અને મનોબળ –વિઠ્ઠલ વ્યંકટેશ કામત

મિત્રો, આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?

.

.

‘ઇડલી, ઓર્કિડ અને હું’ની પ્રથમ આવૃત્તિ ૨૦૦૫માં ગુજરાતીમાં પ્રગટ થઈ હતી. ત્યારે પુસ્તક હાથમાં આવ્યું હતું પણ પુસ્તક વિશે કોઈ માહિતી ન્હોતી એટલે ખરીદ્યું ન્હોતું. તે પછી એ વિશે જાણવા મળ્યું પણ પછી પુસ્તક મળ્યું ન્હોતું. ૨૦૧૦માં ‘ઇડલી, ઓર્કિડ અને હું’ની જ્ગ્યાએ ‘ઇડલી, ઓર્કિડ અને મનોબળ’ના નામે બીજી આવૃત્તિ પ્રગટ થઈ. જે આખરે મેં હમણાં થોડો સમય પહેલા ખરીદી લીધી.

 .

વિઠ્ઠલ કામતની સંઘર્ષકથા જે કઠોર પરિશ્રમના ફળ સ્વરૂપે સફળતામાં પરિણમી એ મને તો વાંચવાની બહુ જ મજા આવી. વધારે હું કંઈ એ વિશે કહું એના કરતાં આ પુસ્તકના શબ્દોને જ બોલવા દઈએ. મને ગમતી વાતો આ પુસ્તકમાંથી મૂકું છું.

 .

  • હું ઊભો થયો ને ‘ઓર્કિડ’ની અગાશી પર આવેલી રેસ્તરાંમાં ગયો. અહીંથી એરપોર્ટનું વિહંગમ દ્રશ્ય દેખાય છે. મિનિટે મિનિટે આકાશમાં ઉડાન ભરતું વિમાન, મને થઈ આવ્યું માણસે પણ આવું જ હોવું જોઈએ. પાંખ ફેલાવીને આકાશને બાથમાં લેવાની વૃત્તિ અને ધગશ જો હોય તો તમે કાંઈ પણ કરી શકો છો. હા હા, કાંઈ પણ !
  • આપણી પાસે બુદ્ધિ છે, શિક્ષણ છે, મહેનત કરવાની તૈયારી પણ છે. તો પછી આપણે બિઝનેસના ક્ષેત્રમાં વધુ ને વધુ યશ મેળવવો જોઈએ.
  • આટલાં વર્ષોના અનુભવો પરથી હું તમને સફળ થવાની એક ગુરુચાવી ચોક્કસ આપી શકું. ડિટરમેશન, ડેડિકેશન અને ડિસિપ્લીન. આ ત્રણ ‘ડી’ને જો ડેસ્ટિનીનો સાથ મળી જાય તો તો પછી કોઈ જ વાત અશક્ય નથી.
  • આપણા સહુમાં એક હીરો છુપાયેલો જ છે. પણ એને પાસા પાડવાની જવાબદારી આપણી રહે છે.
  • ગણેશાપ્રાસાદમાં આખું વરસ નિત-નવા કાર્યક્રમો થતા રહેતા. હું એ બધામાં હોંશભેર ભાગ લેતો. જોકે નાચવા-ગાવા કે મહાલવા પૂરતો જ નહીં, કપ-રકાબી વીછળવાથી માંડીને પડદા ખેંચવા સુધીનું કોઈપણ કામ કરવાની મારી તૈયારી હોય. એમાંથી એક જ સામજિક સજાગતા ઊભી થતી ગઈ. કોઈ પણ કામ કરવામાં નાનમ નથી એ વાત મારા મનમાં ઊંડે સુધી ઊતરી ગઈ અને ખાસ તો એ કે જવાબદારી ઉપાડવાની એક સારી આદત મને ત્યાંથી જ પડી.
  • મને લાગે છે કે મારા બાપુજી વ્યંકટેશ કામત ઘણું ખરું જાપાની હોવા જોઈએ. કારણ કે એમનો તો હંમેશનો એક જ તકિયા કલામ ‘નામ કામત છે, તો કામ કર !’ આ વાક્ય એમણે પોતાને જ ગાઈ વગાડીને કહી રાખ્યું હોય તેમ તેઓ પોતે જિંદગીભર એ રીતે જ વર્તયા. કામ, કામ, સતત કામ. પરોઢિયે ઊઠી જવાથી માંડીને રાત્રે મોડેથી પથારીમાં લંબાવે ત્યાં સુધી એ કામ જ કરતા રહેતા. એનું કારણ એવું હતું કે એમણે પોતાની અટકને શબ્દશ: અર્થ સાથે ગંભીરતાથી આવકારી હતી. આથી જ એ તરી ગયા, જીવી ગયા ને ઊંચેરા બની ગયા.
  • ઘણી જગ્યાએ છેતરપીંડી થતી પણ બાપુજી એમાંથી એટલું જ શીખતા ગયા કે, ‘આપણે ક્યારેય કોઈનેય છેતરવું નહીં.’
  • નાનું બાળક ભૂલ કરતું હોય તો એને મારવું એ જ એક ઉપાય નથી તેમ એને છાવરીને બચાવવું એ પણ સત્યથી દૂર ભાગવા જેવું છે.
  • બાપુજી અમને સંબોધીને હંમેશાં એક વાક્ય તો અચૂક બોલે જ : ‘તમારાથી જિંદગીમાં કાંઈ થવાનું નથી.’ છે ને ! કોઈ માણસમાં વિરોધાભાસ કેટલી હદે ભરાયેલો હોઈ શકે ! અમે ભણી-ગણીને મોટા થઈએ, કાંઈ કરીએ એવી આશા રાખનારા, વખત આવ્યે કઠોર થનારા અમારા બાપુજીના મોઢેથી આવો નિરાશાનો સૂર કોણ જાણે કેમ નીકળતો હશે ? એમનું આ વાક્ય એકસરખું કાન પર વાગ્યા કરવાથી મને ચાટી જતી અને હું મનમાં જ બોલી ઊઠતો, ‘હું તમને કાંઈ કરી બતાવીશ!’
  • મારાં મા-બાપુજી બન્ને આપનારાં હતાં. એમના સદ્દકાર્યોએ મારી સામે એક આદર્શ ખડો કર્યો હતો.
  • સારું વાવશો તો સારું લણશો.
  • સામાન્ય રીતે આપણે અવું માનતા હોઈએ છીએ કે ધંધો ને ઈમાનદારી એ બેઉ એકસાથે ન ચાલે. પણ મારા બાપુજીએ ધંધામાંથી ઈમાનદારી ક્યારેય બાદ કરી નહીં. અને તોય સારામાં સારી રીતે ધંધો કરી બતાવ્યો.
  • તમારા પેટમાં ભૂખ હોય, તમારા મનમાં કોઈ જાતનાં શરમ-સંકોચ ન હોય અને તમારા કાંડામાં જોર હોય તો તમે કોઈપણ પરિસ્થિતિમાંથી રસ્તો કાઢી શકો છો; હા, કોઈ પણ પરિસ્થિતિમાંથી.
  • હું મારી જાતને ‘બિઝનેસમેન’નથી કહેતો. પણ હું છું એન્ટરપ્રિન્યોર (ફ્રેંચ-આંત્રપ્રીનર). જેનો અર્થ શબ્દકોશમાં જોખમ ખેડીને ધંધો કરનારો એવો થાય છે. એ જન્મીને આવતો નથી, એને ઘડવો પડે છે. એવી રીતે મેં પણ મારી જાતને પ્રયત્ન કરી કરીને ઘડી છે, કેળવી છે. એન્ટરપ્રિન્યોરને ફક્ત પૈસાના ખણખણાટમાં રસ નથી હોતો, એના માટે એથીય મહત્વની છે અફલાતૂનને ચમકતી કલ્પનાઓ. આ કલ્પનાઓને વ્યવહારમાં ઉતારવા માટે એ આકાશાપાતાળ એક કરી મૂકે છે. અને છેવટે જ્યારે એની કલ્પના એના આકાર પ્રમાણે વ્યવહારમાં ઊતરે છે ત્યારે પોતે કેટલા પૈસા કમાયો ને કેટલા ગુમાવ્યા એના કરતાં એનું સપનું સાચું પડ્યાનો આનંદ જ એન્ટરપ્રિન્યોરને વિશેષ હોય છે.
  • એન્ટરપ્રિન્યોર થવા માટે સાત બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. કાંઈ જુદું જ કરી બતાવવાની જબરજસ્ત ઈચ્છા, ચમકતી કલ્પનાઓ, નવીનતા પ્રત્યેનો ગમો, કોઈનું પીઠબળ ક્યાં તો ગુરુ, ધ્યેય, આત્મવિશ્વાસ અને આવતી કાલને પારખવાની નજર.
  • તમારી કલ્પના ફક્ત નવીનતાભરી છે એટલું જ બસ નથી, એ માટે વ્યવહારનું ગણિત સરખું બેસાડવું જોઈએ.
  • આજે ધંધામાં લોકોની દાનત એવી હોય છે કે બને ત્યાં સુધી તો કોઈને પૈસા ચૂકવવા જ નહીં અને જો ચૂકવવા જ છે તો થાય તેટલી મુદત લંબાવ્યે રાખવી. એ રીતે જોતાં હોટેલનો ધંધો કરનારા બાપુજીનું વર્તન બીજા કોઈને સાવ મૂર્ખામીભર્યું લાગે પણ એક વાત ચોક્કસ કે બાપુજીએ પોતાના આવા વર્તનને લીધે લોકોનાં માન અને શુભેચ્છા બહોળા પ્રમાણમાં મેળવ્યાં.
  • આજ્ઞાંકિતપણું અને બળવાખોરી આ બન્ને બાબત જેમ એકબીજાની સાથે હળીમળીને રહે છે તેવી જ રીતે જૂના હઠાગ્રહો દૂર થતાં એ જ જૂના થડને ફરીથી નવી ડાળીઓ-કુંપળો ફૂટી નીકળે છે એ વાત તો સો ટકા સાચ્ચી !
  • ધંધાની રીતે કોઈ માને કે ન માને પણ ધંધો ચલાવવા માટે જેમ બુદ્ધિની જરૂર પડે છે તેમ હૈયાની પણ પડે છે. લાગણીઓની બાબતમાં શું ને કેમ એવા વિચારો ઊભા થતા નથી ! ‘બસ ! મન લાગતું નથી.’ એનાથી વધીને કહેવાની કાંઈ જરૂર રહેતી નથી.
  • જેને ચોક્કસ સફળ થવું છે તેના માટે એક જાદૂઈ મંત્ર પણ ચોક્કસ હોય છે. હા, થોડો વખત એ મંત્ર ગુલબકાવલીના પેલા ફૂલની જેમ તમને ભૂલમાં નાંખી દે છે. પણ તેથી કાંઈ નિરાશ થવાની જરૂર નથી. એ મંત્રની શોધખોળ તો ચાલુ જ રાખવાની છે. ને પછી ક્યારે ને ક્યારેક તો તમને મંત્ર ચોક્કસ જડી જાય છે.
  • મારા જેવો એક સીધો-સાદો રેસ્ટૉરન્ટવાળો ‘ઓર્કિડ’ જેવું ફાઈવસ્ટાર-ડીલક્સ-ઈકોટેલ ઊભું કરી શકે એવું તો હું પોતેય જાણતો નહોતો. પણ તે શક્ય છે. ‘એ માટે જિંદગીને ચોક્ક્સ રીતે આકારવી પડે છે અને સતત ધ્યેય પર નજર માંડીને એ જ દિશામાં પ્રવાસ કરતા રહેવું પડે છે.’ એ પ્રવાસમાં ગમે તેટલાંય સંકટો આવે તોય નાસીપાસ થઈને ભાગી છૂટવાની જરૂર નથી. સફળ થવા માટે પહેલી વાત તો એ કરવાની કે આજ પછી તમારી પત્ની, તમારી પ્રિયતમા, તમારું સર્વસ્વ એ બધું જ કાંઈ તમારું કામકાજ છે, એ જ તમારો ધંધો છે.
  • મારા બાપુજી કહેતા, ‘માણસનાં લગ્ન બે વાર થાય છે. એક વાર જીવનસંગિની પત્ની સાથે અને બીજી વાર ધંધા સાથે.’ તો હું એવું કહેતો રહ્યો, ‘હોટેલનો વ્યવસાય મારી ગર્લફેન્ડ છે.’ તેથી જ વ્યવસાય કરવામાં, હંમેશાં નવા નવા પડકારો ઝીલવામાં સફળ થવામાં એક જાતનો રોમાન્સ રહેલો હોય છે.
  • અમે બધા જ રાતદિવસ કામ, કામ ને કામ જ કરતા રહેતા. સફળ થવું હોય તો કામનો નશો ચઢવા લાગે છે. મને એ સમજાયું હતું. એને માટે મારે કોઈ ફરિયાદ પણ નહોતી.
  • તમને જે કલ્પના કે વિચાર સૂઝે તે બીજા કરતાં જુદો હોવો જોઈએ. ‘મી ટુ’ – ‘હું પણ’  એવી કલ્પના બહુ સફળ થતી નથી. બિઝનેસમાં હું કાંઈ આગવું, મારી રીતે કરી બતાવું એવી ખંત હોય તો સફળ થવાની ખાતરી ખરી.
  • સફળ થનારાઓએ પોતાના કામકાજમાં સતત પરિવર્તન લાવવાનો આગ્રહ રાખવો.
  • સફળતા તરફ લઈ જનારા જાદૂઈ મંત્રનું છેલ્લું પગથિયું એટલે યોગ્ય ગુરુ મળવા !
  • પૂર્વતૈયારીઓનું મહત્વ મને આજે નહીં, ઘણાં વરસો પહેલાં સમજાયું હતું. અમારી હોટેલ ઈન્ડસ્ટ્રીનો બધો યશ આ પૂર્વતૈઅયરી પર જ આધારિત હોય છે. ઘરાક ઓર્ડર આપે એની દસ મિનિટમાં તો એની સામે ગરમાગરમ વાનગી રજૂ થાય છે. એનું રહસ્ય શું ? વાટેલી, સમારેલી, બાફેલી બધી જ ચીજ તૈયાર હોવી જોઈએ…તો જ દ્રૌપદીની થાળીની જેમ અસંખ્ય લોકોની ક્ષુધાશાંતિ કરવાનો યશ મળી શકે.
  • ….દરેકના સંસારમાં એકબીજાને સમજી લેવું, એકબીજાની પડખે ઊભા રહેવું એ બધું મહત્વનું હોય છે. પણ મારા જેવા બિઝનેસ-વાળા માટે તો અતિ મહત્વનું બની રહે છે. વેપારધંધામાં અનેક વા-વંટોળ આવતા રહે છે. આવે વખતે તમારા જીવનસાથીનો મજબૂત ટેકો તમને ન મળે તો સમજો સત્યાનાશ; સંસારનો અને તમારોય ! આ બાબતમાં હું ભારે ભાગ્યશાળી છું. મારાં મા-બાપુજીએ અને વિદ્યાએ મને વખતોવખત સંભાળી લીધો છે; મને સહાયરૂપ થયાં છે. કોઈ પણ વૃક્ષને જેમ અનુકૂળ હવામાન અને ખાતરપાણીની જરૂર રહે છે તેવું જ એન્ટરપ્રિન્યોરનું પણ. કારણ કે એન્ટરપ્રિન્યોર એટલે ચીલો ચાતરીને સપનાં જોનારો.
  • ભલાઈ એ આપવાથી ઘટતી નથી, ઊલટાની વધે છે. જિંદગીમાં એ તમને ક્યાં ને ક્યારે ઉપયોગી થઈ પડે એ કાંઈ કહેવાય નહીં. પણ ધ્યાનમાં રાખવાની વાત એક જ કે ભલાઈ કરવી, પરોપકાર કરો પણ નિરપેક્ષવૃત્તિથી, સાચા મનથી કરવો ! ફળની અપેક્ષા રાખ્યા વિના કામ કરો તો એનાં ફળ સારાં જ મળે છે.
  • જિંદગીના મહત્વના નિર્ણયો ક્યારેય પણ લાગણીના કે હૈયાના જોરે લેવા નહીં, દિમાગના જોરે લેવા.
  • ‘ઓર્કિડ’માં જ્યારે જ્યારે પણ ‘પૈસા બચાવો’ની ઝૂંબેશ ઉપાડી છે ત્યારે મેં મેનેજમેન્ટના સભ્યો સાથે સ્ટાફનેય વિશ્વાસમાં લીધો છે. એના લીધે એક તો સામૂહિક ભાવના પેદા થતી હતી. અને સાથોસાથ એવી એક ધગશ પણ ઊભી થતી કે આપણે બધાએ ભેગા થઈને જ આ સમસ્યાનો નિકાલ લાવવાનો છે.
  • ફાઈવસ્ટાર હોટેલ ચલાવવા માટે ફાઈવસ્ટાર સંસ્કૃતિની જરૂર નથી હોતી. એમાં આવશ્યકતા હોય છે આતિથ્ય-ભાવનાની જે મારાં બા-બાપુજીએ મારામાં પોષી છે. આજે હું ગર્વથી કહી શકું છું, મારું ‘બલ્ડ-ગ્રૂપ’ છે ‘એચ’. ‘એચ’ ફોર હોસ્પિટેલિટી.
  • ‘ઓર્કિડ’સોએ સો ટકા ઈકોટેલ (પર્યાવરણયુક્ત) છે. એનું બાંધકામ, એની સજાવટ, એની સર્વિસને લગતી દરેક બાબતમાં વાતાવરણની સમતુલા જાળવવામાં આવી છે. ‘ઓર્કિડ’માં જે ‘પદ્ધતિ’ વાપરવામાં આવી છે તે છે-
    • Reduce, Reuse, Recycle !’

એનો અર્થ એવો કે એકેય ચીજવસ્તુ વેડફશો નહીં, બને ત્યાં સુધી એને ફરી વપરાશમાં લો અને ફરી પ્રક્રિયા કરીને એ જ વસ્તુ પૂરેપૂરી ઉપયોગમાં લઈ શકાય એવી ચીવટ રાખો. એવી રીતે ‘ઓર્કિડ’ના મંત્રો નીચે મુજબ છે :

  • ‘Delux need not disturb.’

એટલે કે એશાઆરામ માટે થઈને પર્યાવરણની સમતુલા બગાડવાની જરૂર નથી.

  • ‘Comfort need not compromise’

એટલે કે સુખસગવડ મેળવવા માટે પર્યાવરણનાં તત્વો સાથે બાંધછોડ કરશો નહીં.

  • ‘Entertainment need not insensitive.’

એટલે કે મનોરંજન માટે લાગણીહીન થઈને કુદરતનો ભોગ લેશો નહીં.

  • મારી એક નકામી આદત એટલે આગળ-પાછળનો વિચાર કર્યા વગર પડકાર ઝીલી લેવો. કોઈ કહે કે ‘આ કામ તારાથી નહીં થાય’ તો હું ફટાક દઈને કહેતો ‘ના શું થાય?’ અને પછી કાંઈ લેવા-દેવા વગર હું એ કામ કરી બતાવવા માટે તનતોડ પ્રયત્નો કરતો.
  • ધંધાદારીઓ માટે બે જોખમકારક બાબત રહેલી છે. એક તો લાગણીથી દોરાવું ને ગમે તેના પર ભરોસો કરવો. મારામાં આ બન્ને દુર્ગુણો પુષ્કળ પ્રમાણમાં છે. એની સાથેસાથ બે-હિસાબીપણું, બે-ફિકરાઈ અને બે-શિસ્ત પણ એટલાં જ ! આ બધાંને લીધે ક્યારેક ક્યારેક તો એવા ફટકા પડે ને, કે પછી જ આંખ ઊઘડે. આવા વખતે મારા પોતાના જ કાન પકડીને હું મારી જાતને કહી રાખું છું, ’જો હવે ફરી આવું નથી કરવાનું.’
  • મારા વ્યક્તિત્વનું એક સબળ પાસું એટલે હું આજન્મ વિદ્યાર્થી છું. શિક્ષણ કાંઈ શાળા-કોલેજોમાંજ મળે છે એવું નથી. જીવનનો પ્રત્યેક અનુભવ તમને કાંઈ ને કાંઈ શિખવાડતો જાય છે.
  • સફળ માણસો માટે બધાને કુતૂહલ હોય છે, એમના માટે અહોભાવ હોય છે. પણ એ સફળતા સુધી પહોંચનારી સીડી કાંઈ એક જ દિવસમાં ચઢી જવાતી નથી. જેને સફળ થવું છે તેમણે આ વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. મોટે ભાગે તો સફળ થનારો માણસ એક પછી એક પગથિયાં ચઢીને સીડીએ પહોંચ્યો છે અથવા તો પર્વતની ટોચે ઊભો છે એવું ચિત્ર દોરવામાં આવે છે. પણ ખરી રીતે જુઓ તો સફળ થવા માટે પહેલાં એક નાનો ત્રિકોણ, પછી એની ભૂજા લંબાવીને થયેલો મોટો ત્રિકોણ, પછી એવી જ રીતે વધુ ને વધુ ઊંચો થતો જતો ત્રિકોણ એવી વૃદ્ધિ થવી જોઈએ. જેથી પાયો મજબૂત રહે અને ઊંચાઈ વધતી જાય.
  • આ પદ્ધતિને કહે છે ‘સકસેસ ટ્રાયેંગલ’. મને આ પદ્ધતિ પર પૂરો વિશ્વાસ છે. અથવા જો શિખર આંબવું હોય તો પહેલાં નાની ટેકરીનું શિખર, પછી એકાદા ડુંગરાનું શિખર, પછી પર્વતનું શિખર એમ પ્રવાસ થતો રહેવો જોઈએ. સફળ થવાના રસ્તે આવતાં ખીણ-ખાડા-ખૈયા-વાંકાચૂકા વળાંકો ઓળંગવાનાં હોય છે…તો જ શિખર સર કર્યાનો સંતોષ થાય છે. ગ્રાહકને ઉપયોગી થનારી ચમકતી કલ્પનાઓ એટલે જ ધંધાની સફળતાની ગુરુચાવી. આ કલ્પના જેટલી અફલાતૂન, જેટલી નવી તેટલો જ તેનો વિરોધ થવાનો છે એટલું ધારીને જ ચાલવાનું છે. આવા વિરોધને ન ગણકારતાં હાડનો એન્ટરપ્રિન્યોર પોતાની કલ્પના આકારે છે, સાકારે છે, એને સફળ કરી બતાવે છે અને એવી રીતે જ દુનિયાનો ક્રમશ: વિકાસ થતો હોય છે.
  • કોઈ પણ ઓર્ગેનાઈઝેશનમાં જો એ સંસ્થાનો અને ત્યાંના લોકોનો વિકાસ કરવોહોય તો શિખર પર બેઠેલો માણસ જ માખણ ખાધે રાખે ને એના હાથ નીચેના માણસો ભૂખ્યા રહે એ બરાબર નથી. બધાને જ ફાયદો થવો જોઈએ. બધાનો જ વિકાસ થવો જોઈએ. હું જો ગાડી ચલાવતો હોઉં તો મારા હાથ નીચેના લોકોને કાંઈ નહીં તો છેવટે સ્કુટર તો આપી શકું એવો મારો ભાવ હોવો જોઈએ. હાથ નીચેના માણસો સાઈકલ પણ લઈ શકતા નથી ને બોસ મર્સિડિઝમાં ફરે છે એ વાત મને રુચતી નથી.
  • દિવસમાં જેટલો સમય હું મારા વ્યવસાયને આપું છું તેટલો જ સમય હું ‘નિસર્ગમૈત્રી’ માટે આપું છું. કારણ કે નિસર્ગમૈત્રી એ જ મારું અવિભાજ્ય રૂપ છે અને નિસર્ગ સાથે મૈત્રી એ જ મારી જીવનપદ્ધતિ છે !
  • મને સુખનો મૂળમંત્ર જડ્યો છે. એ મૂળમંત્ર છે : કુદરત સાથે મૈત્રી કરો. હું પ્રકૃતિપ્રેમી તો હતો જ. પણ હવે પ્રકૃતિનું ઋણ ફેડવાનો પ્રયત્ન પૂરી ઈમાનદારીથી કરું છું. ખુશીની વાત એ છે કે મને સાંપડેલો આ મૂળમંત્ર મેં મારા માટે જ મર્યાદિત રાખ્યો નથી. આ મંત્ર મેં બીજાને આપ્યો છે. એમને ય એ ગમ્યો. એમણે હાથ મિલાવ્યા, અમારી ટીમ તૈયાર થઈ. અમારી ટીમના બે અર્થો છે. એક તો એનો સામાન્ય અર્થ એટલે સંઘ(જૂથ). બીજો અર્થ છે ‘Three, Environment And Me!’ (વૃક્ષ, પર્યાવરણ અને હું.) આ બીજો અર્થ તમને અંદરથી સમજાય છે ત્યારે તમને જીવવાનો અર્થ પણ સમજાય છે.

 .

ઇડલી, ઓર્કિડ અને મનોબળ –વિઠ્ઠલ વ્યંકટેશ કામત

અનુવાદ : અરુણા જાડેજા

પ્રકાશક : મીડિયા પબ્લિકેશન

પૃષ્ઠ : ૧૬૦

કિંમત : રૂ. ૧૬૦/-

Share this

8 replies on “આ પુસ્તક તમે જોયું? વાંચ્યું?- ઇડલી, ઓર્કિડ અને મનોબળ –વિઠ્ઠલ વ્યંકટેશ કામત”

  1. મેં વાંચેલ છે , ખરેખર રોલર કોસ્ટર રાઈડ સમાન અનુભવ . અહી હું બે પ્રસંગ ટાંકવા ઈચ્છીશ .

    ૧) જયારે લંડનમાં તેઓ લાડવાનો કોન્ટ્રાક્ટ લઇ બેઠા ત્યારે , જે ગફલત સર્જાઈ , છતાં પણ વખાણ થયા .

    ૨) અને તે દ્રઢ વિશ્વાસ કે જયારે તેઓં , દ. આફ્રિકામાં એવોર્ડ સમારંભમાં ગયા , ત્યારે સિક્યોરીટી ગાર્ડે અટકાવેલા તે પ્રસંગ .

    and the good layout of book and nice quality of pages .

    in addition , i want to request to you that i can’t follow your blog as i don’t use the FACEBOOK and you don’t have any E mail subscription system .

    Is there any other way ? i have a blog too , so by the means of my blog i can follow you .

    niravsays.wordpress.com

  2. મેં વાંચેલ છે , ખરેખર રોલર કોસ્ટર રાઈડ સમાન અનુભવ . અહી હું બે પ્રસંગ ટાંકવા ઈચ્છીશ .

    ૧) જયારે લંડનમાં તેઓ લાડવાનો કોન્ટ્રાક્ટ લઇ બેઠા ત્યારે , જે ગફલત સર્જાઈ , છતાં પણ વખાણ થયા .

    ૨) અને તે દ્રઢ વિશ્વાસ કે જયારે તેઓં , દ. આફ્રિકામાં એવોર્ડ સમારંભમાં ગયા , ત્યારે સિક્યોરીટી ગાર્ડે અટકાવેલા તે પ્રસંગ .

    and the good layout of book and nice quality of pages .

    in addition , i want to request to you that i can’t follow your blog as i don’t use the FACEBOOK and you don’t have any E mail subscription system .

    Is there any other way ? i have a blog too , so by the means of my blog i can follow you .

    niravsays.wordpress.com

  3. વાહ! સરસ.
    આ પુસ્તક વિશે ઘણા સમયથી સાંભળ્યું વાંચ્યું છે અને આજે તમારી પોસ્ટથી અ ઉત્કંઠાને વધુ વેગ મળ્યો.
    થેન્ક્યુ વેરી મચ.

  4. વાહ! સરસ.
    આ પુસ્તક વિશે ઘણા સમયથી સાંભળ્યું વાંચ્યું છે અને આજે તમારી પોસ્ટથી અ ઉત્કંઠાને વધુ વેગ મળ્યો.
    થેન્ક્યુ વેરી મચ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.