મને મારો – સુરેશ દલાલ

.

મને મારો રસ્તો વ્હાલો લાગે છે,

કારણ કે હું કવિતાની વચ્ચે જીવ્યો છું.

મને કવિતા પ્રિય છે,

કારણ કે હું રસ્તાની વચોવચ રહ્યો છું.

 .

અચાનક કોઈ કેડી મળે એમ મળે છે શબ્દ :

તો ક્યારેક કોઈક વ્યક્તિ જ એવી મળે

કે બધા જ શબ્દો સાવ નિ:શબ્દ.

 .

દુ:ખના પ્હાડને મેં સ્મિતમાં ઝબકોળ્યો છે

અને આનંદને આંસુના ખડકથી તોળ્યો છે.

 .

હું નકશાનો માણસ નથી

રસ્તાનો માણસ છું

એટલે ચાલ્યા કરું છું.

 .

ચાલવાની મારી રીત જુદી છે.

ક્યારેક હું પુસ્તકોના શબ્દોની ભીડમાં ખોવાઈ જાઉં છું

તો ક્યારેક મને મેળવી લઉં છું સમુદાયની સૃષ્ટિમાંથી.

 .

આંસુને જોયા પછી ક્યારેક

મારામાં સંતાડી દઉં છું હું નદીને

અને ઝરણાને જોયા પછી

પર્વતના મૌનને ક્યારેક

મારામાં બંદીવાન કરું છું.

 .

( સુરેશ દલાલ )

Share this

2 replies on “મને મારો – સુરેશ દલાલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.