(૧)
એણે જ્યારે જાણ્યું કે માણસ પાસે
સિંહ વાઘ દીપડા ચિત્તા અજગરની તાકાત નથી
નથી બિલ્લી ઘુવડ વરુ ઝરખની ચાલ છાનીછપની
એરુ ને કાનખજૂરા વીંછી મધમાખીના ડંખ પણ નથી
ત્યારે એને થયું
માણસ પાસે આ નથી ને તે નથી-ની
વાત જો હોય સાચી
તો એ કેવી સારી વાત છે
બસ, ‘માણસ’ હોવું એ જ મોટી વાત છે.
( જયા મહેતા )
.
(૨)
બધી જ લાગણીઓ
અને સંબંધો
જ્યાં અટકી જાય છે
તેને હું પ્રેમ કહું છું.
.
( પ્રદીપ પંડ્યા )
.
(૩)
નિદ્રાના લીલાછમ્મ બગીચામાંથી
હું અનિદ્રાના કાળાઘોર જંગલમાં
ભમ્યા કરું છું
એક માત્ર મારા
ખોવાઈ ગયેલા પંખીની તલાશમાં.
.
( સુરેશ દલાલ )
.
(૪)
આ…. આખો દિવસ,
તડકામાં બેસી રહેતા રસ્તા,
દાઝતા નહિ હોય ?
અને જ્યારે
એના પરથી બસ પસાર થાય ત્યારે,
બસના ભારથી એને પીડા થતી હશે કે પછી
બે ક્ષણ છાંયો મળ્યાનો સંતોષ ?
.
( ગાયત્રી )