સૂઝ્યું નહીં – સુરેશ દલાલ

.

.

.

મોરલી ને મોરપીંચ્છને વાંકું પડ્યું

ને શ્યામને તે કંઈ કશું સૂઝ્યું નહીં

સૂરથી ઘવાયેલું રાધાનું હૈયું

મોરપીંચ્છના સ્પર્શે પણ રૂઝ્યું નહીં.

 .

યમુનાના વ્હેણમાં ખાલી ઘડાને

તરતો મૂકીને રાધા જોયા કરે.

વરસ્યા વિનાનાં શ્યામ શ્યામ વાદળાંઓ

આંસુ વિના પણ રોયા કરે.

રાસમાં રૂમઝૂમવું માંડી વાળ્યું

ને ગોપીએ કોઈને કાંઈ પૂછ્યું નહીં.

 .

કેવી આ રીસ કે વૃંદાવન કરમાયું :

ગોકુળિયા ગામની સૂની ગલી.

ઝાંઝરને કાઢીને રાધા તો એકલી

એકલી પોતાને મારગ ચલી.

પોતાનાં આંસુને પોતાના પાલવથી

રાધાએ કેમે કરી લૂછ્યું નહીં.

 .

( સુરેશ દલાલ )

Share this

4 replies on “સૂઝ્યું નહીં – સુરેશ દલાલ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.