અધૂરું બુદ્ધત્વ – માલા કાપડિયા

દરેક પુરુષમાં છૂપાયેલો હોય છે

એક સિદ્ધાર્થ…

સંસારની જટિલતાથી

બહાર નીકળીને

ફક્ત પોતા માટે જીવવા ઈચ્છતો

સિદ્ધાર્થ !

કેટલું સહેલું છે

અર્ધરાત્રિના અંધકારની આડમાં

પોતાની કાયરતાને

મહાભિનિષ્ક્રમણ માની લેવું !

જાણે છે,

મેં પણ જોયો છે

તારી આંખોમાં

કેટલીય વાર એ સિદ્ધાર્થને !

કદાચ આથી જ

સૂઈ નથી શકતી

નિશ્ચિંત થઈ

તારા સુદ્રઢ ખભા પર

જ્યારેય પળ બે પળ

ટેકવું છું માથું

તો એ જ ક્ષણે

ભીતરથી ઊઠે છે ચીસ

નહીં યશોધરા,

અસત્ય છે આ આશ્વાસન !

તારે સજગ સચિંત રહેવાનું છે

હર પળ, હર દિન

ક્યારેય આશ્વસ્ત નથી થવાનું

આ આલિંગનની સુરક્ષા

ભ્રમ સિવાય કશું નથી

અને પછી

ખુદ કરી લઉં છું

સમજૂતી

નિયતિના ષડયંત્ર સાથે.

મારા સિદ્ધાર્થ

શું તું જાણે છે

મારી ભિક્ષા વિના

અધૂરું છે તારું બુદ્ધત્વ ?

 .

( માલા કાપડિયા )

Share this

4 replies on “અધૂરું બુદ્ધત્વ – માલા કાપડિયા”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.