ભટકવાનાં મળ્યાં બે-ચાર કારણ જિંદગાનીને,
પૂછ્યું છે માર્ગદર્શન માટે જ્યારે કોઈ જ્ઞાનીને.
.
દુ:ખી ના થાઉં હું-એ કારણે ચહેરો છુપાવે છે,
નથી સમજી શક્યો હું દોસ્તોની ખાનદાનીને.
.
તમે પંડિતજી હોવાનો પુરાવો તો દઈ દીધો,
ધીરજના લાભ જો સમજાવવા બેઠા જવાનીને.
.
તમે હાથે કરીને પગ ઉપર મારો કુહાડો કાં,
ન માપો લાગણીના ગજથી ક્યારેય મહેરબાનીને.
.
પૂરા બ્રહ્માંડને પળવારમાં પલટાવતો ઈશ્વર,
હજી નાથી શક્યો ક્યાં માણસોની બેઈમાનીને.
.
તમે પોતે જ તો એની હયાતિનો પુરાવો છે,
છતાં શોધ્યા કરો છો શાને ઈશ્વરની નિશાનીને !
.
ઝીલ્યા છે ઘાવ ‘સાહિલ’ દુશ્મનોના સામી છાતીએ,
અમસ્તો હું નથી દેતો સલામી જિંદગાનીને.
.
( સાહિલ )
સુંદર રચના !
સુંદર રચના !