નીકળી જવું છે બ્હાર મારે – જિતેન્દ્ર પ્રજાપતિ

નવું બીજું કશું કરવું નથી, ક્ષણનું બટન થઈને સમયના ગાજમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે,

ઘણાય યુગથી ચાલી રહ્યા ઘડિયાળના આ એકચક્રી રાજમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે.

 .

મળે ઘટના અગર વહેવા તણી તો દોસ્ત મારે ખૂબ વહેવું છે, નીકળવું છે નયનના બારણેથી આરપારે,

અમે આંસુ છીએ, બસ એટલે થીજી જવાના ખોખલા રિવાજમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે.

 .

અમારા તખ્તની નિશાનીને કો’ આમ હડસેલે અને કો’ તેમ હડસેલે, નથી સહેવી ઉપેક્ષાને હવેથી,

અમારા ઘર સમીપે ઊભો એક બાવળ કહે છે કે :’કાંટાળા તાજમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે’.

.

હશે બે-ચાર ત્યાં સુક્કા અને બે-ચાર ત્યાં લીલા, બધા બળશે ? નહીં જીવિત રહે મારા થકી ત્યાં કોઈ પણ જીવ ??

‘હવે હું ઈંધણું જાહેરમાં કહું છું, સતત સળગાવનારી દાઝમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે’.

 .

અમારી એક પણ ઇચ્છા અગર જો મૃત થાશે તો અમે પણ તુર્ત મૃત્યુ પામવાના આખરે મનમાં ને મનમાં-

     અને તેથી, ઉપેક્ષા પામતાં પહેલાં બધાય દર્દના રિયાઝમાંથી આખરે નીકળી જવું છે બ્હાર મારે.

 .

( જિતેન્દ્ર પ્રજાપતિ )

Share this

2 replies on “નીકળી જવું છે બ્હાર મારે – જિતેન્દ્ર પ્રજાપતિ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.