સૂનકારથી સાદ ન આવ્યો;
મને મોર પણ યાદ ન આવ્યો.
.
મેલીને મરજાદ ન આવ્યો;
આંખોમાં વરસાદ ન આવ્યો.
.
પરદો તો વેળાસર ઊઘડ્યો;
યાદ મને સંવાદ ન આવ્યો.
.
કાસદ થઈ આવ્યાં પારેવાં;
પણ અક્ષર એકાદ ન આવ્યો.
.
સળંગ સૂત્રતા શી જળવાઈ !
દુ:ખોમાં અપવાદ ન આવ્યો.
.
કુરુક્ષેત્ર, સ્વજનો, સ્નેહીઓ;
કેમ મને અવસાદ ન આવ્યો.
.
કંઠ શુષ્કને કાન ના સરવા;
એક અનાહત નાદ ન આવ્યો.
.
( ભગવતીકુમાર શર્મા )