(૧)
હે નાથ,
તું પ્રેમ બનીને પ્રગટી રહ્યો છે ત્યારે
તને પૂર્ણ પામવાની અમારી પાત્રતાને
શુદ્ધ અને સિદ્ધ કરી દે.
અમારી દ્રષ્ટિમાં પ્રેમનું આંજણ થઈને
અમને તારા ભણી દોરી જાઓ, હે દેવ !
.
પ્રસાદ :
જે વહેતું રહે, વિસ્તરતું રહે, શુદ્ધ હોય અને વિશુદ્ધ કરે,
પોષે અને પાવક કરે, અનંત પ્રસરે અને અસીમ હોય,
સમેટાઈ રહે અને સ્વને તથા સર્વને સિદ્ધ કરે એવા ઉજાસનું નામ જ પ્રેમ.
.
(૨)
હે નાથ,
અમારા ઘન-અહંકાર, અંધકારને તારા તેજ અને તાપમાં ઓગાળી દે.
તારા પ્રેમમાં અમને પારદર્શક અને પવિત્ર કરી દે.
અમારા કર્તાભાવમાં તારી કરુણામાં વહેવડાવી દે, હે દેવ !
.
પ્રસાદ :
ઈન્દ્રિયોના આધારે ઘટ્ટ થતો રહેતો અહંકાર એ જ ક્ષણિક સુખ. આત્મતત્વને અહમના ઓઝલમાંથી મુક્ત કરી દે, તે જ આનંદ. સુખને માત્રા અને મૂલ્યનું છોગું લાગી શકે, પણ આનંદ એ તો અનંતધારા.
.
સુખી થતાં થતાં વધુ સુખી થવું એ સાફલ્યની ગતિ પણ સુખી કરતાં કરતાં આનંદિત થઈ રહેવું એ સાર્થક્યનો સાક્ષાત્કાર.
.
(૩)
હે નાથ,
સંકલ્પની વેદી પર, સ્વ-શૂન્ય થઈ રહેવા ક્ષણોની આહૂતિનું યજ્ઞકર્મ અમને આપો.
પ્રગટીને પ્રકાશ થઈ રહેવાનીઆત્મસિદ્ધિમાં અમને ઉજાળો, હે દેવ !
.
પ્રસાદ :
શાસ્ત્રજ્ઞાન, પાંડિત્ય, ધર્મના કર્મ વિધી વિધાન આ તો સાધન માત્ર.
સાધનને જ વળગી રહ્યે સિદ્ધિ છટકી જવાની.
ક્ષણના ફેરે સૂર્યદર્શનનું સુખ અમાસ થઈ રહે એ જ કમભાગ્ય.
.
( ડો. ભરતભાઈ મિસ્ત્રી )