પ્રાર્થના – ડો. ભરતભાઈ મિસ્ત્રી

(૧)

હે નાથ,

તું પ્રેમ બનીને પ્રગટી રહ્યો છે ત્યારે

તને પૂર્ણ પામવાની અમારી પાત્રતાને

શુદ્ધ અને સિદ્ધ કરી દે.

અમારી દ્રષ્ટિમાં પ્રેમનું આંજણ થઈને

અમને તારા ભણી દોરી જાઓ, હે દેવ !

 .

પ્રસાદ :

જે વહેતું રહે, વિસ્તરતું રહે, શુદ્ધ હોય અને વિશુદ્ધ કરે,

પોષે અને પાવક કરે, અનંત પ્રસરે અને અસીમ હોય,

સમેટાઈ રહે અને સ્વને તથા સર્વને સિદ્ધ કરે એવા ઉજાસનું નામ જ પ્રેમ.

 .

(૨)

હે નાથ,

અમારા ઘન-અહંકાર, અંધકારને તારા તેજ અને તાપમાં ઓગાળી દે.

તારા પ્રેમમાં અમને પારદર્શક અને પવિત્ર કરી દે.

અમારા કર્તાભાવમાં તારી કરુણામાં વહેવડાવી દે, હે દેવ !

 .

પ્રસાદ :

ઈન્દ્રિયોના આધારે ઘટ્ટ થતો રહેતો અહંકાર એ જ ક્ષણિક સુખ. આત્મતત્વને અહમના ઓઝલમાંથી મુક્ત કરી દે, તે જ આનંદ. સુખને માત્રા અને મૂલ્યનું છોગું લાગી શકે, પણ આનંદ એ તો અનંતધારા.

 .

સુખી થતાં થતાં વધુ સુખી થવું એ સાફલ્યની ગતિ પણ સુખી કરતાં કરતાં આનંદિત થઈ રહેવું એ સાર્થક્યનો સાક્ષાત્કાર.

 .

(૩)

હે નાથ,

સંકલ્પની વેદી પર, સ્વ-શૂન્ય થઈ રહેવા ક્ષણોની આહૂતિનું યજ્ઞકર્મ અમને આપો.

પ્રગટીને પ્રકાશ થઈ રહેવાનીઆત્મસિદ્ધિમાં અમને ઉજાળો, હે દેવ !

 .

પ્રસાદ :

શાસ્ત્રજ્ઞાન, પાંડિત્ય, ધર્મના કર્મ વિધી વિધાન આ તો સાધન માત્ર.

સાધનને જ વળગી રહ્યે સિદ્ધિ છટકી જવાની.

ક્ષણના ફેરે સૂર્યદર્શનનું સુખ અમાસ થઈ રહે એ જ કમભાગ્ય.

 .

( ડો. ભરતભાઈ મિસ્ત્રી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.