(૧)
પ્રાર્થના,
જે પ્રાપ્ત, તેની પ્રસન્ન પહોંચ
એ જ પ્રાર્થના !
પ્રત્યેક પળમાં પરમની
પ્રગટ હાજરીનાં
અહેસાસનો શબ્દોચ્છવ
એ જ પ્રાર્થના.
એકત્વના આરાધનની
અખંડ આનંદધારા
એ જ પ્રાર્થના !
.
તું વાદક, વાંસળી અમે !
.
(૨)
ધર્મ,
વ્યવહારે ઉઠતી અને
વિશ્વે ફેલાતી વિવેક સુગંધ
એ જ ધર્મ.
શૂન્ય સ્વથી અસીમ સર્વેશ્વર
ભણીની ગતિનું યાત્રાગાન
એ જ ધર્મ
પ્રકૃતિ, પુરુષ, પદાર્થ
અને પ્રાણીમાં વિલસી રહેલ
પરમને પૂર્ણે પામવા
એ જ સ્નેહધર્મ !
.
તું ધર્મધજા, દંડ અમે !
.
( ડો. ભરતભાઈ મિસ્ત્રી )