(૧)
સ્વધર્મ,
સહજ, સત્ય સંકલ્પ
અને સ્નેહ સભર
ધારાએ કલ્યાણ કર્મના
શિવલીંગની પૂજા
એ જ સ્વધર્મ.
દેખીતા સ્થૂળ લાભાલાભથી દૂર,
બહુજનહિતાય શ્વાસની સુગંધ
એ જ સ્વધર્મ
કર્મેશ્વરનું રોકડુ રૂપ
એ જ સ્વધર્મ !
તું દ્રષ્ટિ, દર્પણ અમે !
(૨)
શ્રદ્ધા,
‘થાઓ’ એવી પ્રાર્થના
‘થયુ’માં પડઘાય
એ જ શ્રદ્ધા !
સંકલ્પ અને સિદ્ધિ
વચ્ચેના શૂન્ય અંતરના
ગતિ વિસ્ફોટનું નામ શ્રદ્ધા
કર્તાપણાના નિરસને,
સર્વેશ્વરની સર્વોપરિતાનું
સાક્ષીભાવે પૂજન
એ જ શ્રદ્ધા-સાક્ષાત્કાર !
તું સાઈ, શરણાગત અમે !
( ડો. ભરતભાઈ મિસ્ત્રી )