(૧)
ત્યાગ,
આવી મળેલુ છૂટે
એ જ નહીં પણ મેળવવાના
વલખા છૂટી જાય એ જ ત્યાગ.
વૈરાગ્યના વિસ્તારે જે કુંપળ ફૂટે
એ જ જીવંત ત્યાગ.
છોડી શક્યાનો અહંકાર પછી
સહજ છૂટે એ જ પૂર્ણ ત્યાગ.
વૈરાગ્યની ગંગામાં નિરાવરણ
પારદર્શક સ્વદર્શન
એ જ ત્યાગ દીક્ષા !
.
તું અન્ન, ઓડકાર અમે !
.
(૨)
દીક્ષા,
સ્પષ્ટ સમજણ સાથે સત્ય સંકલ્પે,
સહજ આયાસે સ્નેહની પગથી
ઉપર ગતિ એ દીક્ષા.
દેહદમન કે વ્યવહારની
વાડાબંધીથી દૂર,
સ્વથી સર્વજનાય જોડતો
સ્નેહસેતુ એ જ દીક્ષા.
પ્રેમની પારદર્શકતામાંથી
ઉઠતો અને પ્રસરતો પ્રાકશ
એ જ દીક્ષા, સ્વયમ તેજસ્વી
અને સર્વનો ઉજાસ
એ જ દીક્ષા ધર્મ !
.
તું તિલક, કપાળ અમે !
.
( ડો. ભરતભાઈ મિસ્ત્રી )
SUNDER PRARTHNA !