(૧)
પ્રેમ,
ગમા-અણગમા પે’લે પારના
સહ અસ્તિત્વનું અખંડ
વિશ્વદર્શન અને પ્રતિક્રિયાવિહીન
વિચાર શૂન્યતાનો પડઘો
એ જ પ્રેમ !
સ્વને સર્વેશ્વરમાં ઓગાળી દેતું
રસાયણ એ જ પ્રેમ
સત્ય ખોજની શરૂઆત અને
અંતિમપ્રાપ્તિ સુધી પથરાયેલ
રાધાતત્વ એ જ પ્રેમ.
.
તું ગંધ-સુગંધ, નાસિકા અમે !
.
(૨)
નમ્રતા,
અહમ શૂન્ય અસ્તિત્વનો સાગર
શા પટે વિસ્તાર એ જ નમ્રતા
સ્વીકારના ચરમશિખરે,
સ્વ-લોપનો સૂવર્ણ કળશ
એ જ નમ્રતા !
પરમતત્વની સાવ લગોલગ પહોંચી,
તેને પામી ગયાની
પરખનું નામ નમ્રતા.
કીડીનાપગની ઝાંઝર થઈ,
એકત્વના ગીતનું ગુંજન
એ જ ‘કબીરાઈ’,
નમ્રતાનું અનંત પોત !
.
તું મલમલ, માદરપાટ અમે !
.
( ડો. ભરતભાઈ મિસ્ત્રી )