(૧)
નિર્લેપતા,
જલકમલવત જાગૃતિની એરણ ઉપર
ક્ષણ ચૈતન્યના ઘડતા
ઘાટનું નામ નિર્લેપતા
લેતી-દેતીના કિનારા છોડીને
વળગણ વગર વહેતા રહેવાની
મોજ એ જ આનંદ-અનાસક્તિ !
અખંડ, અસ્પર્શ્ય,
અટક્યા કે અથડાયા વગર
અવિરત વહેતી બજરંગી,
મારૂતિ ઓળખનું નામ નિર્લેપતા.
.
તું વહેતું વ્હાલ, કિનારા અમે !
.
(૨)
સંતોષ,
પૂર્ણપ્રાર્થના અને
પારદર્શક પુરુષાર્થ પછી
સહજ ઉગતા પુષ્પની
સુગંધનું નામ સંતોષ !
સંતોષની આનંદધારાએ
જે આવી મળે અને ઉછરે
એ અલૌકિક સંબંધ,
શ્રીહરિનો પ્રગટ નિવાસ !
સત્વની અખિલાઈની ઓળખ
એ જ સંતોષ.
શૂન્યે સભરતા એ જ સંતોષ.
.
તું સ્થિર જે ઈંટ ઉપર, એ ઈંટ અમે !
.
( ડો. ભરતભાઈ મિસ્ત્રી )