પરિસ્થિતિની લક્ષ્મણરેખા ઓળંગવા
મેં ઉપાડેલો મારો પગ
સત્તાવીસ વર્ષોથી
અટકી ગયો છે એમ જ….
ક્યાં છે શબ્દોની પંચવટી?
શબ્દો વિનાનો હું
સળગ્યા કરું છું-રૂ જેવું !
શબ્દ જ મારો રામ હશે ?
કે શબ્દ જ હશે માયાવી મૃગ ?
શ્લોકત્વ પામવા ઝંખતી
મારી વેદનાઓ
વંધ્ય થઈ જાય એ પહેલાં જ
હે નિષાદ ! વીંધી નાખ મને….
કેમ હું ફંગોળી શકતો નથી
મારી અશબ્દતાને ?
મારી એકલતાના ખારાદવ અબ્ધિ પર
બાંધી શકતો નથી હું શબ્દ-સેતુ !
મારી આંખમાં ખડક થઈ ગયેલું આંસુ
ઝરણાની જેમ હું વહાવી શકતો નથી હવે-
હે રામ ! તમે જ વીંધી નાખો મને….
.
( મણિલાલ પટેલ )