ઉદ્ધવગીત – વીરુ પુરોહિત

કદી કદી હું સ્વગત અચિંતા મને પૂછી બેસું છું;

રઝળે છે જે ભગ્ન માટ; કૈંક બીજું કે હું છું ?!

 .

ઘેલા કેવા હતા ? વિચારી, આજે આવે હસવું;

ધૂન હતી, જ્યાં હાથ પહોંચે, શ્યામ નામ બસ લખવું !

મોરપિચ્છનાં વસન વીંટાળી, જઈ મધુવનમાં ઝૂમ્યાં;

ચંદ્રપ્રકાશે ભાળી, કહાનાનાં પદચિહ્નો ચૂમ્યાં !

થતું હતું ત્યારે, ઉદ્ધવજી ! હું તે શું નું શું છું !

રઝળે છે જે ભગ્ન માટ; કૈંક બીજું કે હું છું ?!

 .

એક દિવસ પણ વીતે નહીં, માધવનાં મિલન વિનાનો;

અષ્ટગંધ મહેકે અંગે, જ્યાં સંગ કરું કહાનાનો !

વૈભવ સઘળો અસ્ત થયો, માધવ મથુરાએ જતાં;

નિશ્વાસી ઉચરું કેવળ : तेहिना दिवसा हता I

.

દર્પણ સઘળાં ફોડ્યાં, ઉદ્ધવ ! જોતાં વદન ડરું છું !

કદી કદી હું સ્વગત અચિંતા મને પૂછી બેસું છું;

રઝળે છે જે ભગ્ન માટ; કૈંક બીજું કે હું છું ?!

 .

( વીરુ પુરોહિત )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.