બહિષ્કાર – પન્ના નાયક

એની કવિતાએ

સ્ત્રીઓને બહેકાવી છે.

 .

એની કવિતાએ

સ્ત્રીઓને

પોતાની સુષુપ્ત સંવેદનાને

ઢંઢોળવાનું કહ્યું છે

 .

એની કવિતાએ

સ્ત્રીઓને

પગમાં પહેર્યાં છે એ ઝાંઝર નહીં

પણ સદીઓથી પહેરાવેલી બેડીઓ છે એમ મનાવી

એ બેડીઓને

ફગાવી દેવા કહ્યું છે

 .

એની કવિતાએ

સ્ત્રીઓને

પતિના અવસાન પછી

મુરઝાયેલા ફૂલ જેમ

બાકીની જિંદગી જીવવાના આપણા રિવાજને

તિરસ્કૃત કરવા કહ્યું છે

 .

એની કવિતાએ

સ્ત્રીઓને

છોકરીઓની સદાયે અવગણના કરતા

આપણા દંભી હિંદુ સમાજને

વખોડવા કહ્યું છે

 .

એની કવિતાએ

સ્ત્રીઓને

“પુરુષની બુદ્ધિના પાંજરામાં

લાગણીનું પંખી થઈ ટહુક્યા કરવાનું

મંજૂર નથી”

એવો છડેચોક

પડકાર કરવાનું કહ્યું છે

 .

એની કવિતાએ

હિંદુ લગ્નજીવનની કઠોરતા અને વિષમતાને

કોઈ છોછ વિના

નિર્ભિક રીતે રજૂ કરી

બીજી સ્ત્રીઓને

બોલવાનું કહ્યું છે

 .

આવો,

આપણે બધા ભેગા થઈ

એની કવિતાનો બહિષ્કાર કરીએ !

 .

( પન્ના નાયક )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.