બુદ્ધના સ્મિત જેવો ઊગ્યો છે દિવસ.
બારી-બારણાં આપમેળે ખૂલી જાય છે.
સૂર્યનાં અનાક્રમક કિરણો ચૂપચાપ
પ્રવેશે છે શાંત-પ્રશાંત દિવસની અદબ જાળવીને.
.
બહાર બગીચામાં જોઉં છું તો
મહાવીર, સોક્રેટીસ અને થોરો પણ
મૌન ધારીને બેઠા છે
રાબિયા, લલ્લેશ્વરી અને ગાંધીજી
અને આઇન્સ્ટાઈન એકમેકના એકાન્તની ઇજ્જત કરે છે.
.
નરસિંહની કરતાલ અને મીરાંનાં ઘૂંઘરું
અરસપરસ સંવાદ કરે છે નીરવ આંખે.
રાતના આગિયાનું તેજ અને પતંગિયાની પાંખ
નરી નમ્રતાથી આપ-લે કરે છે ફૂલની સુગંધની.
.
રાત્રિના અંધકારના બોધિવૃક્ષ તળે
બુદ્ધના સ્મિત જેવો ઊગ્યો છે દિવસ.
.
( સુરેશ દલાલ )