શાંત સરવરમાં કમળ ખૂલે એમ એકાન્ત હળવેથી ખૂલે જી,
મોરપિચ્છ જેવી હવા રાધાનાં ઝાંઝર પ્હેરી ઝૂલે જી.
.
પ્રભુજીનો આ પગરવ સુણી
કાન સચેતન થઈ ગયા,
એક પલકની ઝલક-ઝંખના
ધ્યાનમાં દરશન થઈ ગયાં.
.
આકાશમાં એક કબીર-વૃક્ષ છે : ઊભું ઊર્ધ્વમૂલે જી,
શાંત સરવરમાં કમળ ખૂલે એમ એકાન્ત હળવેથી ખૂલે જી.
.
હું જાણું ને કૈં ન જાણું
એવી અવસ્થા માણું છું,
જળની ઝીણી જ્યોતને ઝીલું
એવું હું તરભાણું છું.
.
નરસિંહ, તુકા ને રૂમી-મીરાંના ઘૂમું છું વર્તુળે જી,
શાંત સરવરમાં કમળ ખૂલે એમ એકાન્ત હળવેથી ખૂલે જી.
.
( સુરેશ દલાલ )