સંબંધોમાં વસતું એકાંત ‘સંસ્કારી’ હોય છે.
.
સ્મિત કરે છે તેને હાથ લંબાવવાની જરૂર પડતી નથી !
.
સગપણ હોય એટલે વળગણ તો હોય જ !
.
પારદર્શક હોય તેને પડછાયો હોતો નથી.
.
માણસ રોજ રોજ ઊંઘે ત્યારે એકવાર આથમે છે.
.
એકાંત, એક ચોરાયેલું નામ ઉકેલવા મથ્યા કરે.
.
ગુસ્સો : મારી બહાર હું !
શરમ : મારી અંદર હું !
.
અજાણ્યા રહેવા માટે હવે ગુફામાં નહીં, સમાજમાં રહેવું પડે છે !
.
માણસોને ફૂલ ખરીદવા માટે કોઈના મૃત્યુની રાહ જોવી પડે છે !
.
છેલ્લાં આંસુ સૌની પાસે અનામત હોય છે.
.
દરેક આંસુને એક ખાનગી સરનામું હોય છે.
.
હોઠને એકબીજાનો દ્રઢ સ્પર્શ ગમે તે “મૌન” કહેવાય !
.
પોતે જીર્ણ કરેલું પોતે જ રફુ કરવું એ જીવન છે.
.
ગાલ પર પહોંચતા આંસુનું સરનામું બીજું જ હોય છે.
.
સરનામા વગરની ટપાલ સૌને માટે હોય છે !
.
જીવવું એટલે જોડામાં કાંકરો રાખીને ચાલવું…
.
જીવતો માણસ અંધારામાં રહી ગયો એટલે એના મુર્દા પાસે દીવો કર્યો !
.
વસંતને બારમાસી થવાનું મન થયું ને પ્રેમ થયો !
.
પ્રેમ જાદુ નથી, એક જ ફૂલને ગુલદસ્તો બનાવી દેતી કળા છે.
.
( રતિલાલ ‘અનિલ’ )