ચાંદરણા (૮) – રતિલાલ ‘અનિલ’

પ્રેમ એ જીવનભર પાળવાનો વહેમ પણ હોય !

 .

પ્રેમનો લય તો અભિસારિકાના પદરવમાં હોય છે !

 .

પોતામાં સંતાયેલો અજાણ્યો પુરુષ ઓચિંતો પ્રગટ થઈ જાય તે પહેલો પ્રેમ !

 .

પ્રેમનો સંકોચ ? ઊઘડેલું ફૂલ ફરી કળી થવાનો નિષ્ફળ પ્રયત્ન કરે તે !

 .

ઝરણું અને પ્રેમ, પોતે જ પોતાનો માર્ગ કરી લે છે.

 .

સામેની આંખો પ્રતિબિમ્બ ઝીલે તો કોઈ અરીસા પાસે જતું નથી.

 .

પ્રેમમાં સાત તાળી પણ સપ્તપદી થઈ જાય છે.

 .

પ્રેમ હિમાલય છે, અને પહાડ સિસોટીનો પડઘો પાડતો નથી.

 .

શુદ્ધ અંતર માટે પારદર્શક આકાશ પણ અસહ્ય બની જાય છે.

 .

પ્રેમમાં મુઠ્ઠી વાળે છે તે આંગળીના ટેરવાનો સ્પર્શ રોમાંચ ગુમાવે છે.

 .

પ્રેમ એ જળમાં વિસ્તરીને પોતે જ મટી જતું વર્તુળ છે.

 .

પ્રેમનું સૌંદર્ય અરીસાના માપનું નથી હોતું !

 .

કાંટા ખેરવી નાખ્યા વિના પ્રેમ ‘કેવડિયો’ થઈ શકે નહીં.

 .

પ્રેમ પોતે જ વાસંતી સૌંદર્ય અને મહેક હોય છે.

 .

પ્રેમ હોય ત્યાંથી જ વિસ્તરે છે, તે આવ-જા કરતો નથી !

 .

પ્રેમ એવો મહેમાન છે, જે ઘરમાલિક થઈ જાય છે !

 .

પ્રેમ હોય છે પ્રાકૃતિક, પણ તેણે સાંસ્કૃતિક થવું પડે.

 .

પાત્રો બદલાય છે ત્યારે પ્રેમ નાટક થઈ જાય છે.

 .

હિંચકો અને પ્રેમ, બે જ દિશામાં આવ-જા કરે છે !

 .

પ્રેમનું સ્મિત બીજરેખા પાસે હોય છે, પૂર્ણચંદ્ર પાસે નહીં !

 .

( રતિલાલ ‘અનિલ’ )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.