ઈશ્વરના ઉમદા જગત વિશે
ખડેપગે તૈયાર છીએ ફરિયાદ કરવા આપણે.
ભૂખરાને કોરાકટ પેલા આકાશની ટોચ
ને તેના તળનીય પેલે પાર
આપણો આશાતંતુ લંબાતો ન હોત
તો કરુણાસ્વરે કહી શકત :
મુમુક્ષુ આતમની આસપાસ છે
નિયતિના અવરોધોની પાસ;
પણ મળે છે અવસર
વ્યાપક ને વેળાસર;
વેઠ્યા થોડા દિવસો, દુ:ખોના, ડંખોના
શાને તે માટે બનવું લાચાર ?
નિર્બળ હૃદય, સ્વસ્થ થા,
થોરની વાડ પાસે ગાતા ગાતા ચાલ્યા જતા
મોજીલા મુસાફરની જેમ, મારગે આગળ થા.
કડવી મળે વીશીમાં રોટી, તેથી શું ?
ને ઉઘાડા પગે વાગે અણિયાણા કાંકરા, તોયે શું ?
એટલું તો કહી શકાય ને :
‘આભાર ઈશ્વર તારો; રસ્તો બહુ ટૂંકો છે.’
.
( એલિઝાબેથ બેરેટ બ્રાઉનિંગ, અનુ. મહેશ દવે )