‘મહાભારત’નાં મૂળમાં શાંતનુની કામવાસના પડેલી જોઈએ છીએ. એટલે જ એના વંશજોનો, કૌરવો-પાંડવોનો નાશા થયો. જ્યારે જ્યારે મોટાં મોટાં સામ્રાજ્યો પડ્યાં છે ત્યારે ત્યાંના લોકો વિષયવાસનામાં, ઉચ્છૃંખલતામાં અને મોજશોખમાં પડી ગયા હોય છે.
.
પાંડવોના બાર વરસના વનવાસ દરમ્યાન દુર્યોધનના રાજવહીવટમાં લોકો પાંડવોને પણ ભૂલી ગયા હતા. પણ કૌરવોને રાજનીતિમાં એક વસ્તુની ખામી હતી અને તે સ્ત્રીજાતિ પ્રત્યેનો અનાદર. નારી પ્રત્યેના તુચ્છ ભાવમાં જ કૌરવોનો નાશ હતો.
.
આપણા દેશમાં સાધુપુરુષો તો ઘણા થઈ ગયા છે, પણ અનાચાર થતો જોઈ અંતર વલોવાઈ જાય ને પોકારી ઊઠે કે, ‘આ નહીં જ થઈ શકે’ એવા થોડા હોય છે.
.
ખરે વખતે જે અંતરથી હિંમતથી માણસે બહાર આવવું જોઈએ, તે ન આવી શકે તેને નવા યુગમાં સ્થાન નથી.
.
ભીષ્મના પાત્રસર્જન દ્વારા મહાભારતકાર એક એ સત્ય પણ કહે છે કે જૂની સંસ્કૃતિ વિદાય લેતી હોય છે, નવી સંસ્કૃતિ ઊભી થતી હોય ત્યારે તેને થોડો વખત કાંટાની પથારીમાં સૂવું પડે છે. આપણે અત્યારે પણ કંઈક આવી જ દશા ભોગવી રહ્યા છીએ. અત્યારે આપણે આવા ફેરફારમાં થોડી વ્યથા અનુભવી રહ્યા છીએ. પણ એ ફેરફાર આવી જ રહ્યો છે, એમ સમજીને જે એને ઝીલશે તે જ ટકી શકશે, બીજા નહીં.
.
( નાનાભાઈ ભટ્ટ )