છત પર
લટકતાં ઝુમ્મર વચ્ચે
એક પતંગિયું
બંધ બારીઓ જોઈ જોઈને
વિચારોના દરિયામાં ડૂબી ગયું છે.
કેમ આજ
કારણ વિના નભથી
રિસાયા છે વાદળો !
જો અચાનક મોસમ બદલાઈ તો ?
ભીંત પર જડેલા પેલા ચિત્રોમાં
ચૂપચાલ ઊભેલાં વૃક્ષોની ડાળે
એકાદ બે પાંદડાં ફરફરી ઊઠે
અને પછી તેની કોઈ ડાળે
ટહુકા વેરતું પંખી
માળો બાંધવા આવી ચઢે તો !
ઘર, ગલી અને ફળિયા વચ્ચેના
વાદળ ઘેરાયેલા આકાશમાં
કવિતાનો
સૂર્ય ઝળહળી ઊઠે !
.
( પ્રીતમ લખલાણી )