…સ્વીકાર દે કે ન દે ભલે – લલિત ત્રિવેદી

શું ફરક પડે છે પુકારને તું સ્વીકાર દે કે ન દે ભલે

ઝીણી આંખડીનું હું તેજ છું તું દીદાર દે કે ન દે ભલે.

 .

રખે માનતો કે હું ક્ષીર છું હું તો તારા નામની પીર છું

તારી બંદગીમાં બુલંદ છું તું ઉદ્ધાર દે કે ન દે ભલે.

 .

તું અદ્રશ્ય છે તો તાર છું, તું ખુદા છે તો હું ખુમાર છું

હું તલાશ છું…બેસુમાર છું…મને શું જરૂર તું વહાર દે કે ન દે ભલે.

 .

ન તો રંગ છું ન તો રૂપ છું ન હું ફૂલ છું કે ન ખુશ્બૂ છું

હું તને ચડાવેલ ધૂળ છું કોઈ પાર દે કે ન દે ભલે.

 .

હું સબરમાં છું કે સફરમાં છું..તું મૂરતમાં હો કે સતતમાં હો

છે સ્વયમ રણક એને શું તમા તાર દે કે ન દે ભલે.

 .

શું અલગ જગા કે ખુદા છે તું શું અલગ છે ઘર કે હું બંદો છું

ક્યાં રહ્યો હવે કોઈ ફાસલો એકાકાર દે કે ન દે ભલે.

 .

( લલિત ત્રિવેદી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.