તરસની આબરૂ – ખલીલ ધનતેજવી

અજાણી કોઈ ખુશબો ક્યાંકથી રસ્તામાં ઊતરી છે,

હવે એના વિશે આખી સભા ચર્ચામાં ઊતરી છે.

 .

સમસ્યા ક્યાં હતી કૈં માનવીના આગમન પહેલાં,

બધી મુશ્કેલીઓ તો એ પછી દુનિયામાં ઊતરી છે.

.

કદાચ આ સૌ મકાનોને ઉથામો તો જડી આવે,

નથી જે શહેરમાં એવી ગલી નકશામાં ઊતરી છે.

 .

ગમે ત્યાંથી ગમે તેની બુલંદી માપવા માટે,

ઘણા ખમતીધરોની આબરૂ ખાડામાં ઊતરી છે.

 .

તમે મારા હૃદયમાં એમ આવીને પ્રવેશ્યા છો,

કે જાણે કોઈ પાગલ આગ આ તણખામાં ઊતરી છે.

.

હવે દીવાઓ પણ ભડકે ચડી પડદાઓ સૂંઘે છે,

હવા પણ વાળ છુટ્ટા વીંઝતી રસ્તામાં ઊતરી છે.

 .

ખલીલ આજે તરસની આબરૂ સચવાય તો સારું,

બિચારી એકલી પાણી પીવા કૂવામાં ઊતરી છે.

 .

( ખલીલ ધનતેજવી )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.