વિલપાવર – એષા દાદાવાળા

દિવસે એમણે ચીસો પાડીને પાડીને ભલે કહ્યું કે

હવે,

કોઈ ચીસો પાડશે તો કાન પર હાથ મૂકીને બહેરા થઈ જઈશું.

એમને કહો કે

રસ્તા પર વેરાયેલો લાલ રંગ આંખો સુધી પહોંચે એ વચ્ચેના ગાળામાં જ

અઘરું હોય છે જીવવાનું.

બાકી,

તકલીફ તો ત્યારે જ થાય જ્યારે

એમ્બ્યુલન્સની સાઇરન મોબાઈલના રિંગટોન જેવી સંભળાય…

એ બધાંને ભેગાં કરીને સમજાવો કે

અંધારાને બીજા કોઈનો નહીં પણ અજવાળાનો ડર જરૂર લાગે છે

અને

સૂરજ ભલે આગનો ગોળો હોય પણ એ કોઈ બોમ્બ નથી કે ફટાક દઈને ફૂટી

જાય.

સૂરજને આકાશ વગર ચાલવાનું નથી !

એમને કહો કે મરી જવાનો ડર છોડી દે

એ લોકો જીવતાં જ છે

કારણ કે લાશને ઓળખતી વખતે એમના હાથ ધ્રુજતા હતા,

કારણ કે લોહીમાં ભળી ગયેલાં સિંદૂરના રંગને એ લોકો છૂટો નહોતો કરી

શક્યા…

એમને કહો કે

બારસાખે ઊભી રહીને રાહ જોતી પત્નીની આંખમાં

જ્યાં સુધી પ્રતીક્ષા જીવવાની છે

ત્યાં સુધી એમને કશું જથવાનું નથી.

જીવી જવાના વિશ્વાસને વિલપાવર કહેવાય છે,

ભલે એમનામાં નહીં હોય

પણ

એમને જિવાડવાનો ઈશ્વરનો વિલપાવર મજબૂત છે, હજી પણ !!!

 .

( એષા દાદાવાળા )

Share this

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.